કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ૯મી સપ્ટેમ્બરથી જમ્મુ કાશ્મીર ત્રણ દિવસની યાત્રા જઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી તેમની હાઈ પ્રોફાઇલ યાત્રાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ યાત્રા દરમિયાન રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિની સમીક્ષા કરશે. રાજનાથસિંહ ટોચના અધિકારીઓ અને નેતાઓની સાથે સાથે સંરક્ષણ દળોના વડાઓ સાથે પણ વાતચીત કરશે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. એનઆઈએ દ્વારા ટેરર ફંડિંગના મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે જ ગઇકાલે જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં ૧૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને હવાલા કારોબારીઓને સકંજામાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ અલગતાવાદી લીડરોમાં હાલમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે તેમની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ દ્વારા તેમના નાણાંના સોર્સના સંદર્ભમાં માહિતી મેળવી લીધી છે. પુછપરછના ભાગરુપે નારાજ થયેલા અલગતાવાદીઓ એનઆઈએની હેડક્વાર્ટર ખાતે દેખાવ કરવાના મૂડમાં આવી ગયા છે. બીજી બાજુ રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરમાં ટોપ સ્તરે સરકારી પ્રધાનો સાથે વાતચીત કરશે. તેમની યાત્રાને લઇને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે.