નવીન પટનાયક ગુરૂવારે ભુવનેશ્વરમાં શપથ સમારંભ દરમિયાન સતત પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સવારે ૧૦.૩૦ વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા. ઓડિશાના રાજ્યપાલ ગણેશીલાલે પટનાયકને પદ તેમજ ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે તેમના ૨૧ મંત્રીઓએ પણ આજે શપથ ગ્રહણ કર્યા હતા. મંત્રીમંડળમાં નવા ૧૦ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. શપથ સમારંભનું આયોજન ભુનવેશ્વરના પ્રદર્શન મેદાનમાં કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલ્યું હતું. ૭૨ વર્ષીય નવીન પટનાયક ૨૦૦૦માં પહેલી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં તેઓ ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. છેલ્લા ૧૯ વર્ષથી તઓ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. પટનાયકના નવા મંત્રીમંડળમાં પરમાનંદ નાયક, ટુકુની સાહૂ, સમીર દાસ, નવકિશોર દાસ, પદ્મિની દિયાન, રઘુનંદન દાસ, દિવ્યશંકર મિશ્ર, જગન્નાથ સડા, જ્યોતિપ્રકાશ પાણિગ્રહી અને તુસારકાંતી બહેરાનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે, વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એસ એન પાત્રોની ઓડિશા વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ટ્વીટ દ્વારા નવીન પટનાયકને અભિનંદન પાઠવ્યા. તેમણે લખ્યું કે પ્રજાની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા બદલ પટનાયક અને તેમની ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. હું ઓડિશાની પ્રગતિ માટે કેન્દ્ર તરફથી સંપૂર્ણ સાથ-સહકાર આપવા માટેની ખાતરી આપી છે. ઓડિશાના રાજ્યપાલ ગણેશી લાલે રવિવારે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે બીજૂ જનતા દળ અધ્યક્ષને આમંત્રિત કર્યા હતા. પટનાયકે સતત પાંચમી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરતા પહેલા રવિવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.