ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી તરફથી રમવામાં મશગૂલ બની ગયેલા ટીમ ઈન્ડિયાના મોટાભાગના સુપરસ્ટાર્સ કદાચ ત્યાર બાદ રમાનારા વર્લ્ડકપને જાણે ભૂલી જ ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓને આઇપીએલની કેટલીક મેચોમાં આરામ ફરમાવવાની સલાહ કેપ્ટન કોહલીએ આપી હતી. જોકે ખુદ કોહલીએ જ તેની સલાહ પર અમલ કર્યો નહતો અને સદંતર ફ્લોપ રહેલી બેંગ્લોરની ટીમ તરફથી ભારતીય કેપ્ટન તમામ ૧૪ લીગો મેચો રમ્યો હતો. છેલ્લા બે મહિનાથી આઇપીએલમાં ફ્રેન્ચાઈઝીની ટીમને સફળતા અપાવવા માટે દિવસ-રાત પ્રવાસ ખેડતાં રહેવાની સાથે રમતાં રહેલો ખેલાડીઓ હવે આઇપીએલના ‘થાક’ સાથે વર્લ્ડકપમાં રમવા જશે તે નક્કી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તેમજ ટીમ મેનેજમેન્ટે પણ વર્લ્ડકપ અગાઉ મીડિયામાં મોટા-મોટા નિવેદનો આપતાં કહ્યું હતુ કે, વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓના આઇપીએલના ‘વર્કલોડ’ પર અમે નજર રાખીશું. ખેલાડીઓના આરામ અંગે ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત પણ કરીશું. જોકે આમાનું કશું થયું નથી.કોહલીએ તો આઇપીએલ પહેલા દરેક ખેલાડીને સલાહ આપી હતી કે, તેઓ સામે ચાલીને ફ્રેન્ચાઈઝી પાસે આરામ માગે. જોકે તેવું પણ જોવા મળ્યુંનથી. જેના કારણે હવે આગામી વર્લ્ડકપમાં ભારતીય ટીમના દેખાવ પર ચાહકોની નજર રહેશે. ટીમ ઈન્ડિયામાં વર્લ્ડકપ જીતવાની ક્ષમતા છે અને દુનિયાભરના વિવેચકો ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ માને છે, જોકે આઈપીએલનો થાક વર્લ્ડકપને અસર કરે તેવી શક્યતા છે.કોહલી, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, ચહલ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ તમામ ૧૪ લીગ મેચો રમ્યા છે. ચેન્નાઈમાં સામેલ જાધવ આખરી લીગ મેચ ઈજાગ્રસ્ત બનતાં બાકીની મેચો રમી રહ્યો નથી. જ્યારે બાકીના વર્લ્ડકપ સ્ટાર્સની ફ્રેન્ચાઈઝી લીગ સ્ટેજમાં જ બહાર ફેંકાઈ હતી. ધોની ફાઈનલ સહિત ૧૫ મેચ રમ્યો, તે બિમાર હોવાથી બે મેચ ન રમ્યો. જાડેજા ફાઈનલ સહિત ૧૬ મેચો રમ્યો હતો અને તે બીમારીને કારણે એક મેચમાં બહાર રહ્યો હતો. ધવન, હાર્દિક પંડયા અને બુમરાહ તમામે તમામ ૧૬ મેચો રમ્યા છે. રોહિત, વિજય શંકર અને ભુવેશ્વર કુમાર ૧૫-૧૫ મેચો રમ્યા છે. એકમાત્ર કુલદીપ યાદવ માત્ર ૯ મેચો રમ્યો હતો. કુલદીપને નબળા ફોર્મને કારણે ટીમે જ પડતો મૂક્યો હતો.