છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સની બસો પર આરટીઓ વિભાગની તવાઈ શરૂ થઈ છે. રોજેરોજ આવી બસોને રોકી તેમને મેમો પકડવામાં આવે છે. તેમજ બેથી ત્રણ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. જોકે નિયમ વિરૂદ્ધ ચાલી રહેલી બસ સામે કાર્યવાહી કરવી જ જોઈએ તેમાં ખોટું પણ નથી પરંતુ હાલમાં જે ઝુંબેશ શરૂ થઈ છે તેની પાછળનો હેતુ જુદો છે. એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છેલ્લા ઘણા વર્ષોથી ખોટના ખાડામાં છે. બસો પણ સાવ ખખડધજ હાલતમાં છે.
બસોના સમયના ઠેકાણા નથી આથી મુસાફરો એસ.ટી.ની બસોમાં જવાનું મોટેભાગે ટાળતા હોય છે અને તેના વિકલ્પમાં વધુ ભાડું આપીને પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરે છે.તાજેતરમાં જ વાહન વ્યવહાર કમિશનરનો ચાર્જ સોનલ મિશ્રાને સોપાયો છે.આ અધિકારી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના નિયમિત કમિશનર છે. સુત્રો જણાવે છે કે આરટીઓના ઇન્સ્પેકટરોને ઉપરથી એવી મૌખિક સૂચના મળી છે કે તમારે રોજ ખાનગી ટ્રાવેલ્સની બસોને રોકી તેમને મેમા પકડાવવા તેમજ સ્થળ ઉપર દંડ વસુલ કરવો. મુસાફરો હેરાન થાય એ પ્રકારની કાર્યવાહી કરવી.
આવા આદેશને પગલે આરટીઓ ઇસ્પેક્ટર અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપરાંત નાના-મોટા ટેમ્પો તથા મિની બસો અને ઓટોરિક્ષાના ચાલકોને રોકીને તેમને મેમો અપાઈ રહ્યા છે.જેમાં સૌથી વધુ મેમો ખાનગી લકઝરી બસે અપાઈ રહ્યો છે. ભૂતકાળમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ક્યારેય મેમો અપાયા નથી હાલમાં પણ ખાનગી ટ્રાવેલ્સની બસો દ્વારા ચાર રસ્તા ઉપર ટ્રાફિકનો ભંગ કરવામાં આવે છે તેની સામે પોલીસ પગલાં લેતી નથી અને નાગરિકો હેરાન થઇ રહ્યા છે. પરંતુ ઉપરની સૂચનાને પગલે ટ્રાફિક અને આરટીઓના અધિકારીઓએ રાજ્યભરમાં લક્ઝરી બસોની સામે ઝુંબેશ હાથ ધરી છે. રોજના કુલ એક હજારથી વધારે મેમો અપાઈ રહ્યા છે. બસોને રોકીને અધિકારીઓ તેમના કાગળો તપાસે છે અને માથાકૂટ કરીને જાણી જોઈને એક થી બે કલાકનો સમય બગાડે છે જેથી કરીને મુસાફરો હેરાન થાય અને બીજી વખત ખાનગી બસમાં બેસવાને બદલે એસટીમાં જવાનું પસંદ કરે. આરટીઓ ઇસ્પેક્ટરો નામ નહિ આપવાની શરતે જણાવે છે કે ગાંધીનગરથી આવેલા આવા આદેશને પગલે અમારે નાછૂટકે ખાનગી ટ્રાવેલ્સ બસોને રોકી તેમની પાસેથી દંડ વસૂલવા પડે છે. જેનાથી કંટાળીને ટ્રાવેલ્સના સંચાલકો આગામી મંગળવારે ગાંધીનગર સચિવાલય જઈ સરકારમાં રજૂઆત પણ કરશે. કારણકે સરકારને આવી ઝુંબેશની ખબર પણ નથી. ઉચ્ચ અધિકારીઓ સરકારમાં પોતાનું સારું દેખાડવા માટે આવી રાજ રમત રમી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી સંપન્ન થતાં જ હાલમાં ઉચ્ચ અધિકારીઓ પર કોઈ અંકુશ રહ્યો નથી. આચારસંહિતાના નામે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે. જેનો ભોગ સામાન્ય નાગરિકો બને છે. સૂત્રો જણાવે છે કે એસ.ટી.ની બસો પાસે સ્ટેજ કેરેજની મંજૂરી છે. એટલે કે એસ.ટી.ની બસો ગમે તે સમયે ગમે તે સ્થળે મુસાફરોને બેસાડી શકે છે અને તેમને ઉતારી શકે છે. જ્યારે ખાનગી ટ્રાવેલ્સની બસો પાસે આવી મંજૂરી નથી. તેમની પાસે કોન્ટ્રાક્ટ કેરેજની મંજૂરી છે. આથી ઇસ્પેક્ટર દ્વારા સ્ટેજ કેરેજના નિયમોનો ભંગ થતો હોવાનું જણાવી સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. શનિવારે સમીસાંજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ઈન્સ્પેકટરો અને આરટીઓના અધિકારીઓએ ઝુંબેશ હાથ ધરી હતી. આખી રાત આ ઝુંબેશ ચલાવીને ૬૦૦ થી ૭૦૦ બસો પાસેથી દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ છે.
આગળની પોસ્ટ