શહેરના લાલદરવાજા વિસ્તારમાં અપનાબજાર ખાતે આવેલી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આજે બપોરે શોટ-સર્કીટના કારણે આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. જો કે, આગ સામાન્ય હોઇ કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. આગ વધુ નહી વકરતાં અને સમયસર બુઝાવી દેવાતાં સૌકોઇએ રાહતનો દમ ખેંચ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, લાલદરવાજા વિસ્તારમાં અપનાબજાર ખાતે ડી બ્લોકમાં પહેલા માળે સ્થિત ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આજે બપોરે અચાનક શોટ-સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધુમાડા નીકળતાં અને તણખા ઝરતાં કોર્ટ કર્મચારીઓનું ધ્યાન ગયું હતુ અને આગ લાગી હોવાની બધાને જાણ થતાં વકીલો-કર્મચારીઓ સહિત સૌકોઇમાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે કોર્ટરૂમ અને સમગ્ર ફલોર પર લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આગના બનાવ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના સેક્રેટરી કેતન શાહ અને ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશનના મેનેજર તરૂણ ઠક્કરે જણાવ્યું હતું કે, આગના કારણે થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી જો કે, સદ્નસીબે આગ બહુ મોટી નહી હોવાથી કોઇ ઇજા કે નુકસાન નોંધાયા ન હતા. આગ સમયસર બુઝાઇ જતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી અને બધાએ રાહતનો દમ લીધો હતો.
આગળની પોસ્ટ