ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ આવતીકાલે ખાતે રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણી ૪-૦થી જીતી ચુકી છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમ વ્હાઇટ વોશ કરવાનો હેતુ ધરાવે છે.આવતીકાલની મેચમાં પણ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે ટીમ ઇન્ડિયા સજ્જ છે. ભારતના તમામ ખેલાડી ભવ્ય ફોર્મમાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને શિખર ધવન, વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બીજી બાજુ યજમાન ટીમના ખેલાડીઓનો ફ્લોપ શો રહ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા પર ૪-૦ની લીડ ધરાવે છે. ભારતીય ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે તૈયાર છે. જ્યારે શ્રીલંકા આ મેચમાં લાજ બચાવવા માટે મેદાનમાં ઉતનાર છે. શ્રીલંકાની ટીમ વન ડે રેન્કિંગમાં હાલ આઠમા ક્રમાંકે ફેકાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૪માં બન્ને દેશો વચ્ચે છેલ્લે વનડે શ્રેણી રમાઇ હતી. જેમાં ભારતે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. આ શ્રેણીમાં પણ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આવો જ ઇરાદો ધરાવે છે. ભારતે શ્રીલંકાનો છેલ્લે ૨૦૧૫માં પ્રવાસ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર થયા બાદ ભારતીય ચાહકો નિરાશ થયા હતા. શ્રીલંકાની જમીન ઉપર વિરાટ કોહલીની સેનાએ ટેસ્ટ શ્રેણીમાં હાલમાં ઇતિહાસ રચ્યો હતો. ૮૫ વર્ષ બાદ ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમે ક્લીનસ્વીપ કરીને ટ્રોફી જીતી હતી. ટીમ ઇન્ડિયાએ કેન્ડીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ફોલોઓન થયા બાદ મેદાનમાં ઉતરેલી યજમાન શ્રીલંકાની ટીમને એક ઇનિંગ્સ અને ૧૭૧ રને હાર આપી હતી. કોલંબોના સિંઘાલી સ્પોટ્ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણીની ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. પાંચમી વનડે મેચ આવતીકાલે રમાયા બાદ એકમાત્ર ટ્વેન્ટી મેચ રમાશે. મેચ ડેનાઇટ હોવાના કારણે બપોરે ૨.૩૦ વાગે શરૂ થશે. બન્ને ટીમો પોત પોતાની વ્યુહરચના બનાવી ચુકી છે. વનડે શ્રેણી રોમાંચક બને તેવી શક્યતા છે. શ્રીલંકામાં તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણીનુ દુરદર્શનથી પણ પ્રસારણ કરવામાં આવનાર છે. ભારતના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા સામે ત્રીજી મેચમાં તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરી લીધુ હતુ. તે વનડે ક્રિકેટમાં ૯૩૭૮ રન કરવાના અઝહરુદ્ધીનના રેકોર્ડને તોડી દેવામાં સફળ રહ્યો હતો. આની સાથે જ તે ભારત તરફથી સૌથી વધારે રન કરનાર ચોથો ખેલાડી બની ગયો હતો. યજમાન શ્રીલંકાની ટીમ છેલ્લી મેચ જીતીને કેટલાક અંશે પ્રતિષ્ઠા જાળવવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, પ્રવાસી ભારતીય ટીમ સામે શરૂઆતની ચાર વનડે મેચ હારી ગયા બાદ હવે શ્રીલંકાની ટીમ પર વર્લ્ડકપ ૨૦૧૯માં પ્રવેશ નહીં મળવાનુ સંકટ તોળાઇ રહ્યુ છે. ભારત સામે કારમી હાર થયા બાદ તે સીધી રીતે એન્ટ્રી મેળવી શકશે નહી. તેને હવે બાકીની શ્રેમીમાં શાનદાર દેખાવ કરવો પડશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કહ્યુ છે કે વર્ષ ૧૯૯૬માં વર્લ્ડકપ જીતનાર શ્રીલંકાની ટીમને હવે આગામી શ્રેણીઓમાં શાનદાર દેખાવ કરવાની જરૂર પડશે. વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવી લેવા માટે શ્રીલંકાને ભારત સામે કમ સે કમ બે મેચો જીતવાની જરૂર હતી. જો કે તેની કારમી હાર થઇ રહી છે. યજમાન દેશ ઇંગ્લેન્ડ ઉપરાંત ૩૦મી સપ્ટેમ્બર સુધી ટોપ સાત રેન્ક ધરાવતી ટીમો પહેલાથી જ ઓટોમેટિકલીરીતે વર્લ્ડકપ માટે ક્વોલિફાઇંગ કરી ચુકી છે. શ્રીલંકાને હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચોમાં શાનદાર દેખાવ કરવો પડશે. ઇંગ્લેન્ડ સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં પણ ભવ્ય દેખાવ કરવો પડશે.