વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત દાવો કરી રહ્યાં છે. ગત ચૂંટણીની સરખામણીએ એનડીએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં વધારે સીટોની સાથે સત્તામાં આવશે. ત્યારે છઠ્ઠા તબક્કાના વોટિંગ દરમિયાન એનડીએના ઘટક દળ આરપીઆઇના અધ્યક્ષ રામદાસ આઠવલેએ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એનડીએની સીટ ઘટવાની વાત કરી છે.
એનડીએમાં દલિત ચહેરો અને પીએમ મોદીની કેબિનેટમાં મહત્વના સદસ્ય રામદાસ આઠવલેએ કહ્યું છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એનડીએની બેઠક ઘટશે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્રમાં એનડીએની જ સરકાર બનશે.મહારાષ્ટ્રના લાતૂરમાં શનિવારે રામદાસ આઠવલે એક ચૂંટણી કાર્યક્રમનું સંબોધન કરી રહ્યાં હતા. આઠવલેએ કહ્યું કે, એકલા ભાજપને ૨૬૦ થી ૨૭૦ સીટ મળી શકે છે. એનડીએની સાથે મળીને ૩૦૦ થી ૩૨૫ બેઠક મળી શકે છે.
આઠવલેએ એવું પણ કહ્યું કે, નરેન્દ્ર મોદીનું ફરીથી વડાપ્રધાન બનવાનું નક્કી છે. સાથે જ તેમણે પોતાની મંત્રી બનવાની ભવિષ્યવાણી કરી છે. આઠવલેએ કહ્યું કે, ઓડિશા, પશ્ચિમબંગાળ અને દક્ષિણ ભારતમાં ભાજપને સારી સીટો મળશે.મહારાષ્ટ્રમાં એનડીએનો ભાગ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ)એ મહારાષ્ટ્રમાં ભાજપ ઉમેદવાર સામે તેમના ઉમેદવાર ઉભા કરી દીધા છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(એ) ના અધ્યક્ષ અને મોદી કેબીનેટમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ જાહેર કર્યું છે કે, તેમની પાર્ટીએ મધ્ય પ્રદેશની ૫ બેઠક પરથી ઉમેદવાર ઉતાર્યા છે. રામદાસ આઠવલેએ મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરતા કહ્યું કે, તેમને ભાજપ સાથે કોઇ ઝગડો નથી. મધ્ય પ્રદેશમાં ભાજપથી ગઠબંધન ના થવાના કારણે તેમને પાંચ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશની બાકી ૨૪ સીટો પર ભાજપ ઉમેદવારનું સમર્થન કરશે.