દેશના વિભિન્ન રાજ્યો જ્યારે સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવતી’ની રીલીઝ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે તેમાં હવે બિહાર પણ સામેલ થયું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બિહારમાં પણ સંજય ભણસાલીની પદ્માવતી ત્યાં સુધી રીલીઝ નહીં થઇ શકે જ્યાં સુધી ભણસાલી તમામ પક્ષોને સંતુષ્ટ નથી કરી દેતા.ભાજપ ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ નીતિશ કુમારને મળીને ફિલ્મની રીલીઝ અટકાવવાની માંગ કરી હતી. મંગળવારે સવારે વિધાનસભાના પરિસરમાં પણ નીરજે પદ્માવતીનો વિરોધ દર્શાવીને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ વાંધાજનક કોમેન્ટ પણ કરી હતી.
નીતિશ કુમારનું આ વલણ એકદમ ચોંકાવનારું છે, પરંતુ માનવામાં આવે છે કે તેઓ આ મુદ્દે કોઇ વિવાદમાં પડવા માંગતા નથી. તેથી તેમણે ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીને તમામ પક્ષોને જે-જે મુદ્દે ફરિયાદ છે, તેનું સમાધાન લાવવા અને તેમને સંતુષ્ટ કરવા જણાવ્યું છે. નીતિશે કહ્યું કે, જ્યારે તમામ લોકોને સંતોષ થશે, ત્યારે ‘પદ્માવતી’ને બિહારમાં રીલીઝ કરવામાં તેમને કોઇ વાંધો નહીં હોય.આ પહેલા આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ પણ ‘પદ્માવતી’ પર પ્રતિબંધ લગાવવાની માંગનું સમર્થન કરી ચૂક્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, પંજાબ, ગુજરાત જેવા રાજ્યો પણ પદ્માવતી ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લગાવી ચૂક્યાં છે.