પાકિસ્તાન સરકારે લાહોરના ૧૧ સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમનો જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાનો આરોપ છે.
જૈશના આકા મસૂદને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જમાત-ઉદ-દાવાનો આકા હાફિઝ સઈદ ૨૦૦૮માં થયેલા મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનું માનવામાં આવે છે.
ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જેમાં ૪૦ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી જ બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે. પાકિસ્તાન સરકારે ફેબ્રુઆરીમાં જ જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન અને મંત્રી એઝાઝ શાહ વચ્ચે શુક્રવારે મિટિંગ થઈ હતી. આ દરમિયાન ૧૧ સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો હતો. ઈમરાને પહેલા જ કહી દીધું હતું કે, પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને પાળવા માટે ક્યારેય નહીં થવા દઉ.
પાકિસ્તાન નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટીના કહ્યાં પ્રમાણે, પ્રતિબંધ કરાયેલા સંગઠનોમાં અલ-અન્ફાલ ટ્રસ્ટ, ઈદારા ખિદમત-એ-ખિલાફ, અલ-દાવત ઉલ ઈરશાદ, મોસ્ક એન્ડ વેલફેર ટ્રસ્ટ, અલ-મદીના ફાંઉન્ડેશ, મજ-બિન-જબેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલ-હમદ ટ્રસ્ટનું નામ સામેલ છે. આ તમામ સંગઠન લાહોરના છે.આ સાત સંગઠનો ઉપરાંત લાહોરના અલ-ફઝલ ફાઉન્ડેશન/ટ્રસ્ટ અને અલ-ઈઝર ફાઉન્ડેશન, બહાવલપુરના અલ રહેમત ટ્રસ્ટ સંગઠન અને કરાચીના અલ-ફુરકાન ટ્રસ્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. તાજેતરમાં સરકારે જણાવ્યું હતું કે, ૩૦ હજારથી વધારે મદરેસાઓ પર પણ નિયંત્રણ કરાયું છે. પાકિસ્તાન સરકારના આંતરિક મંત્રાલય હેઠળ આ ઓથોરિટી કામ કરે છે. સંગઠનો પર પ્રતિબંધની કાર્યવાહી પાકિસ્તાન સરકારના ૨૦૧૫ના નેશનલ એક્શન પ્લાન હેઠળ કરવામાં આવી છે. જેમાં દેશમાંથી કટ્ટરપંથીઓ અને આતંકીઓને તગેડી મુકવાની વાત કરવામાં આવી છે.