કોંગ્રેસ નેતા નવજોત સિંઘ સિધૂ ભાજપ સામે સતત કોમેન્ટ કરતા રહે છે. આ વખતે તેમણે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અંગે કોમેન્ટ કરી છે. તેમણે સ્મૃતિ ઇરાનીની શૈક્ષણિક યોગ્યતા પર કોમેન્ટ કરી છે. નવજોત સિંઘ સિધૂએ ટ્વીટ કરીને લખ્યું છે કે સ્મૃતિ ઇરાનીજી ૨૦૧૪માં બીએ પાસ હતા, ૨૦૧૯ની ચૂંટણીમાં તેમણે બારમું પાસ કર્યું. મને લાગે છે કે ૨૦૨૪ની ચૂંટણી પહેલા તે કેજી વર્ગમાં એડમિશન લઇ લેશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ચૂંટણી કમિશનને આપેલા પત્રમાં કહ્યું છે કે તેઓ ’ગ્રેજ્યુએટ’ નથી. પહેલી વાર તેમણે ચૂંટણી એફિડેવિટમાં કબૂલ્યું છે કે તેમણે ત્રણ વર્ષની ડિગ્રીનો કોર્સ પૂર્ણ કર્યો નથી.
સ્મૃતિ ઇરાનીએ લખ્યું કે તેમણે દિલ્હી યુનિવર્સિટીના સ્કુલ ઓફ ઓપન લર્નિંગમાંથી ’બૅચલર ઑફ કોમર્સ ભાગ -૧ કર્યું છે. આ કોર્સ માટે તેમણે ૧૯૯૪નું વર્ષ લખ્યું છે. તેનો અર્થ એ છે કે તેમણે આ વર્ષે આ ડિગ્રી કોર્સ શરૂ કર્યો હતો, પરંતુ તે પૂરો કર્યો નથી. તેમણે કોષ્ટકમાં લખ્યું છે કે ’ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ અપૂર્ણ.’