વિવિધ સરકારી વિભાગો દ્વારા લોકસભાની ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિએ અનોખી પહેલ કરવામાં આવી હતી. વિરમગામના મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા આગામી લોકસભાની ચુટણીમાં રાષ્ટ્રહિતમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહાલક્ષ્મી પોળના યુવાનોએ એક અવાજમાં કહ્યુ હતુ કે, અમારી પોળના તમામ મતદારો લોકસભાની ચુંટણીમાં અવશ્ય મતદાન કરશે.
મહાલક્ષ્મી પોળમાં રહેતા યજ્ઞેશ દલવાડીએ જણાવ્યુ હતુ કે, હનુમાન જયંતિના દિવસે મહાલક્ષ્મી પોળના યુવક મંડળના સભ્યો અને પોળના રહીશો દ્વારા લોકસભાની ચુટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. અમે પોળના લોકો વિરમગામ સહિત દેશભરના તમામ મતદારોને અપીલ કરી રહ્યા છીએ કે તમે સાચો અને સારો ઉમેદવાર પસંદ કરજો. જેથી દેશનું ભલુ થઇ શકે.
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા