બિહારમાં શાસક જનતા દળ યુનાઈટેડે (જેડીયુ) શુક્રવારે ચૂંટણી પંચને લાલુ પ્રસાદની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવા લેખિતમાં માગણી કરી હતી. જેડીયુના મતે લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડમાં દોષિત હોવાથી જેલમાં સજા કાપી રહ્યા છે. તેમ છતા આરજેડી ઉમેદવારોને ફાળવેલી ટિકિટ પર લાલુ પ્રસાદ યાદવની સહી છે. લાલુ પ્રસાદે આ માટે કોર્ટની પૂર્વ મંજૂરી નહીં લીધી હોવાનો દાવો કરતા જેડીયુએ આરજેડી ઉમેદવારોના ફોર્મ રદ કરવા માગણી કરી હતી.
જેડીયુના વિધાન પરિષદના સભ્ય અને પ્રવક્તા નીરજ કુમારે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીને એક પત્ર લખ્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘ચારા કૌભાંડના અનેક કેસમાં દોષિત અને જેલની સજા થઈ છે તેવા લાલુ યાદવ હાલમાં રાંચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લોકસભા ચૂંટણીમાં બિહારના આરજેડી ઉમેદવારોને ફાળવવામાં આવેલી ટિકિટ પર લાલુ યાદવની શહી છે શું તેમણે આ માટે કોર્ટની મંજૂરી મેળવી હતી. જો મંજૂરી ના લેવાઈ હોય તો આરજેડીના ઉમેદવારોના ફોર્મ રદ થવા જોઈએ.’
બિહારમાં આરજેડી મગાગઠબંધન અંતર્ગત ૧૯ બેઠકો પરથી લડશે જ્યારે અન્ય સહયોગી પક્ષો માટે ૨૦ બેઠકો ફાળવી છે. એક બેઠક પરથી સીપીઆઈ (એમએમલ)ના ઉમેદવાર મેદાનમાં ઉતરશે.
જેડીયુ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે લાલુ યાદવે જલ મેન્યુઅલનું ઉલ્લંધન કર્યું છે. રાંચીમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ પ્રસાદ યાદવે પ્રતિબંધ છતા કેટલાક રાજકીય શખ્સો સાથે મુલાકાત પણ કરી હતી. લાલુ પ્રસાદ દ્વારા સતત ટ્વીટ પણ કરવામાં આવતી હોવાના મામલે આરજેડી નેતાએ ચૂંટણી પંચના સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું.