તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ધારદાર કટાક્ષ કર્યો હતો. મમતાએ જણાવ્યું કે, ‘ભાજપને લોકસભા ચૂંટણીમાં બંગાળમાં રસગુલ્લા (ઝીરો) મળશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળમાં વધુ બેઠકો જીતવાના ઉદ્દેશના ટાંકીને મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ માટે આ દિવાસ્વપ્ન સમાન વાત છે. ‘પશ્ચિમ બંગાળના મતદારોને બન્ને હાથમાં લાડુ આપવાનું વડાપ્રધાન મોદીનું વચન ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે,’ તેમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું. ભાજપને આડેહાથ લેતા મમતા બેનર્જીએ કેટલીક કહેવતો કહી હતી. મમતાએ જણાવ્યું કે, ‘દિલ્હીનો લાડુ- જે ખાય તે પસ્તાય.’ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં જાહેરસભા સંબોધતા દીદીએ જણાવ્યું કે, ‘બંગાળમાં આ વખતે ભાજપને મોટો ઝીરો મળશે.૨૦૧૬ની વિધાનસભામાં ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની જાહેર સભામાં મતદારોને ભાજપને ચૂંટીને બે હાથમાં લાડુ આપવાની વાત કહી હતી.
મમતા બેનર્જીએ આ વાતને યાદ કરતા જણાવ્યું કે આ વખતે ભાજપને રસગુલ્લા (ઝીરો) મળશે તે નક્કી છે. ટીએમસી સુપ્રીમોએ રેલીમાં દાવો કરતા જણાવ્યું કે, આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ ૧૦૦ બેઠકોને પાર નહીં કરી શકે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં ભાજપ એકપણ બેઠક જીતી શકશે નહીં.વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કરતા દીદીએ જણાવ્યું કે, મોદીએ બાયોપીક તૈયાર કરાવી છે. પ્રસિદ્ધિ માટે શું-શું નથી કર્યું, હવે ફક્ત તેમના નામના જૂતા બનાવવાના બાકી છે. પાંચ વર્ષ પૂર્વે તેઓ ચાવાળા બનીને આવ્યા હતા અને હવે તેઓ ચોકીદાર કહે છે. ચૂંટણી હાર્યા પછી તેમને ચોકી જ સંભાળવી પડશે.મમતા બેનર્જીએ બાલુરઘાટ ખાતે બે જાહેરસભા સંબોધી હતી અને આદિવાસીઓને ભાજપને મત નહીં આપવા જણાવ્યું હતું. તેમણે ભાજપ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે ભાજપે આદિવાસીઓ પર મોટાપાયે અત્યાચારો કર્યા છે.