ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ એક વાર ફરી સોશિયલ મિડિયા પર ટિ્વટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી છે.
વિજય માલ્યાએ ટિ્વટ કર્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે કથિત રીતે વિજય માલ્યાએ જેટલા પૈસા સરકારી અને પ્રાઈવેટ બેન્કો પાસેથી લીધા છે, તેના કરતા પણ વધુ પૈસા તેમની સરકારે રિકવર કર્યા છે. જયારે બેન્કો કોર્ટમાં અલગ દાવાઓ કરી રહી છે. કોની પર વિશ્વાસ કરવામાં આવે ? કોઈ એક તો જૂઠ્ઠું બોલી રહ્યું છે.
માલ્યાએ ૨૯ માર્ચે એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુની વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું હતું કે માલ્યાએ બેન્કોને ૯,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને અમે અત્યાર સુધીમાં તેમની વિશ્વભરની તમામ સંપતિઓ જપ્ત કરીને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા વસુલ કર્યા છે. મોદીએ કહ્યું હતું કે માલ્યા ચિંતિત છે, કારણ કે અમે તેમની પાસેથી લગભગ બે ગણની વસુલાત કરી છે. અગાઉ વિજય માલ્યાએ ૧૬ એપ્રિલે એક ટિ્વટ કરીને જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.
તેમણે સરકાર પર પ્રાઈવેટ અને સરકારી એરલાઈન્સ કંપનીઓની વચ્ચે ભેદભાવ રાખવાનો આરોપ લગાવ્યો હતો. માલ્યાએ લખ્યું કે જેટ એરવેઝ કિંગફિશર એરલાઈનની પ્રતિસ્પર્ધી હતી. પરંતુ હાલ આટલી મોટી એરલાઈન ડૂબવાના આરે. આ જાણીને દુઃખ થઈ રહ્યું છે.