કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કોંગ્રેસ પર વધુ એક વખત વાર કર્યો હતો. ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોઈપણ સાથે ગઠબંધન કરી શકે છે.
ઈરાની આ વર્ષે બીજી વખત અમેઠી બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સતત બીજા વર્ષે પડકાર ફેંકવા તૈયાર છે.
૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક લાખ મતના માર્જિનથી ઈરાનીને હરાવ્યા હતા. આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત બીજી બેઠક તરીકે કેરળની વાયનાડને પસંદ કરી છે.
ઇરાનીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ સત્તા માટે કોઈપણનો હાથ પકડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં તેમણે ભારતથી અલગ થવાની વાતો કરતા લોકોનો હાથ પકડ્યો હતો.અમેઠીમાં એક સભાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, કોંગ્રેસે જે કર્યું તેમ અમે કોઈ બીજાને દેશની ધરતીનો એક ઈંચ ભાગ પણ ના આપીએ. આ ચૂંટણી મહત્વની છે અને તે કોઈ સામાન્ય જંગ નથી. આ આપણા બાળકો માટે તેમજ અમેઠીની આઝાદી માટેની લડાઈ છે. સ્મૃતિએ આક્ષેપ કર્યા કે વાયનાડ રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી છે અમેઠી નહિ. અમેઠીના લોકોએ હવે રાહુલ ગાંધીને આવજો કહેવાનો નિર્ણય કર્યો છે.
પાછલી પોસ્ટ