ગુજરાત લોકસભાની સાથે સાથે માણાવદર સહિત ચાર વિધાનસભા બેઠકોની પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગત માર્ચ મહિનામાં જવાહર ચાવડાએ માણાવદરના ધારાસભ્યપદેથી રાજીનામું આપી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હત જેને પગલે માણાવદર બેઠક પર કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં જવાહર ચાવડાએ પરિવાર(પુત્ર, પુત્રવધુ, પુત્રી અને પત્ની)ને આશ્રિત ગણાવી પોતાની મિલકતો દર્શાવી છે. આ સોગંદનામામાં આપેલી વિગતો મુજબ ડિસેમ્બર ૨૦૧૭થી લઈ માર્ચ ૨૦૧૯ સુધીમાં તેમની સંપત્તિમાં રૂ. ૮.૫૬ કરોડનો વધારો થયો છે. આમ ૧૫ મહિનામાં તેમની અને તેમના પરિવારની સંપત્તિમાં મહિને ૫૭ લાખનો વધારો થયો છે. કોંગ્રેસનો છેડો ફાડી તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા અને કેબીનેટ મંત્રી બનેલા જવાહર ચાવડાએ માણાવદર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ૨૦૧૯માં રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની પોતાની અને પરિવારની જંગમ મિલકત રૂ.૨૩.૫૭ કરોડ અને સ્થાવર મિલકત રૂ. ૮૮.૬૫ કરોડ દર્શાવી છે. જે કુલ રૂ.૧૧૨.૨૩ કરોડ થાય છે. જ્યારે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ફોર્મ ભરનારા ચાવડાએ પોતાની અને પરિવારની કુલ રૂ. ૧૯.૪૦ કરોડની જંગમ અને રૂ. ૮૪.૨૭ કરોડની સ્થાવર મિલકત દર્શાવી હતી. જે કુલ ૧૦૩.૬૭ કરોડ રૂપિયા હતી. આમ તેમની સંપત્તિમાં લગભગ ૧૫ મહિનામાં રૂ. ૮.૫૬ કરોડ જેટલો વધારો થયો છે. જ્યારે જવાહર ચાવડાની ૨૦૧૭-૨૦૧૮ની આવક રૂપિયા ૪૦.૨૭ લાખ અને તેમના પરિવારની આવક રૂ. ૪૩.૯૨ લાખ દર્શાવાઇ છે. ચાવડાની સંપત્તિમાં માત્ર પંદર મહિનામાં નોંધાયેલા આટલા મોટા ઉછાળાને લઇ હવે રાજકીય ગલિયારામાં સવાલો ઉઠી રહ્યા છે.