ગુજરાત વિધાનસભાના કોંગેસ પક્ષના દંડક અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તેમણે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાને જણાવ્યું કે ત્વરિત ગ્રામીણ પાણી પુરવઠા યોજના હેઠળ ભારત સરકાર તરફથી ગુજરાત સરકારને કોઈ રકમ મળેલ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૬ -૧૭માં નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગામ હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકારની રૂપિયા ૨૭૬ કરોડની ગ્રાન્ટ કરતા આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર , રાજસ્થાન , ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને કેન્દ્રએ વધારે ગ્રાન્ટ ફાળવી હતી. ડિસેમ્બર ૨૦૧૬ સુધી માત્ર ૬૮. ૫૨ ટકા ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે ખર્ચ કરવામાં બીજા રાજ્યો આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ અને સિક્કિમ ગુજરાત કરતા આગળ હતા.
આ અંગે વધુ જણાવતા રાજપૂતે જણાવ્યું કે ૨૫ ટકા ગ્રામ્ય વિસ્તારોમાં અને ૧૫ ટકા શહેરી વિસ્તારોમાં પાણીની સુવિધા નથી. ત્વરિત ગ્રામીણ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ, વ્યક્તિગત યોજનાઓ, હેન્ડપંપ બેસાડવા તેમજ લોકભાગીદારી પાણી પુરવઠા યોજનાની ઘણી કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં બાકી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ પાણી પૂરવઠા યોજનામાં છેલ્લા બે વર્ષમાં કેન્દ્રએ રૂપિયા ૩૦ કરોડની ગ્રાન્ટ ઓછી કરી છે. જેના કારણે રણ વિસ્તારમાં પાણીની સુવિધા ઉભા કરવાના પ્રશ્નો વ્યાપક બન્યા છે.આમ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતનો ગ્રામ્ય વિસ્તાર આજે પણ પાણી વિના ટળવળે છે. આ વિસ્તારોની જુદી – જુદી મુશ્કેલીઓ હલ કરવા માટે અને ત્વરિત ગ્રામીણ પાણી પુરવઠા યોજના અન્વયે કેન્દ્ર તરફથી ગ્રાન્ટ મળવાની માંગણી બલવંતસિંહ રાજપૂતે કરી છે.
આગળની પોસ્ટ