પુલવામા આતંકી હુમલા પર પાકિસ્તાનનું વધુ એક જૂઠાણું સામે આવ્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે પુલવામા હુમલામાં તેમની ભૂમિકાના પુરાવા નથી મળ્યા. ભારતે પુલવામા પર પાકિસ્તાનને પુરાવા સોંપ્યા હતા. ભારતે પાકિસ્તાનની સાથે ૨૨ સ્થળોના લોકેશન શેર કર્યા હતા. પાકિસ્તાને ૨૨ આતંકી કેમ્પની વાતને પણ નકારી દીધી છે. જો ભારત સરકાર તરફથી કોઈ રજૂઆત આવશે તો પાકિસ્તાન આ લોકેશન્સનો પ્રવાસ કરવાની મંજૂરી આપવા માટે તૈયાર છે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલા ૫૪ લોકોનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી.પાકિસ્તાની અખબાર ડોને સૂત્રોના હવાલાથી લખ્યું છે કે, ભારત તરફથી સોંપવામાં આવેલા પુરાવાઓમાં ક્યાંય પણ પાકિસ્તાનનો કોઈ સંબંધ સ્થાપિત નથી થઈ રહ્યો. પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત અમને કોઈ નવા પુરાવા સોંપે છે તો એમ તેની તપાસ કરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.ઉલ્લેખનીય છે કે, ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશનરને ૨૭ ફેબ્રુઆરીએ પુલવામા હુમલાના સંબંધમાં ડોજિયર સોંપ્યું હતું. ભારતે પોતાના ડોજિયરમાં એવા પુરાવા રજૂ કર્યા હતા, જેનાથી જાણી શકાતું હતું કે પુલવામા હુમલામાં જૈશનો જ હાથ છે. આ ઉપરાંત ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જૈશના કેમ્પ અને તેના લીડરો હોવાના પણ પુરાવા સોંપ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીઅફના કાફલા પર થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાક. અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. મંગળવાર રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે એક સાથે ૧૨ મિરાજ-૨૦૦૦ ફાઇટર પ્લેને બાલાકોટમાં આતંકીના મોટા ઠેકાણાઓ પર હુમલો કર્યો અને તેને સમગ્રપણે નષ્ટ કરી દીધા.