પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહેલા લાલુ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવે રાજીનામું આપ્યું છે. ગુરૂવારે તેજ પ્રતાપે છાત્ર રાષ્ટ્રીય જનતા દળના સંરક્ષક પદથી રાજીનામું આપ્યું છે. રિપોર્ટ મુજબ લાંબા સમયથી તેજ પ્રતાપ અને તેમના પરિવારમાં કંઈ પણ સારી રીતે ચાલી નથી રહ્યું .તેજ પ્રતાપે તેમના સોશિયલ મીડિયાના ટિ્વટર હેન્ડલથી ટિ્વટ કરી આ વિશે માહિતી આપી છે.
તેજ પ્રતાપે લખ્યું કે,‘નાદાન છે એ લોકો જે મને નાદાન સમજે છે કોણ કેટલું પાણીમાં છે બધાની ખબર છે મને.’ જોકે આ પહેલા તેજ પ્રતાપ યાદવ પોતાની પાર્ટી પર દબાણ વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. પરંતુ પછી તેમને આ કોન્ફરન્સ રદ કરી.
રિપોર્ટ મુજબ તેજ પ્રતાપ શિવહર અને જહાનાબાદ સીટથી તેમના સમર્થક અંગેશ કુમાર અને ચંદ્ર પ્રકાશને ટિકિટ આપવા માંગતા હતા અને તેના માટે જ પાર્ટી પર દબાણ વધારવા માટે અને નામની જાહેરાત કરવા માટે તેમને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પરંતુ લાલુના હસ્તક્ષેપ બાદ તેજ પ્રતાપના વલણમાં નરમાઈ આવી અને તેમને પ્રેસ કોન્ફરન્સ રદ કરી.
મીડિયા રિપોર્ટ મુજબ આરજેડી શિવહર અને જહાનાબાદ સીટથી રામા સિંહ અને સુરેન્દ્ર યાદવને ઉમેદવાર તરીકે ઉભા કરવા માંગે છે. જેથી તેજ પ્રતાપ નારાજ થઈ ગયા. આ પહેલા તેમને કહ્યું હતું કે યુવાઓને તક મળવી જોઈએ. જ્યારે હવે તેજ પ્રતાપના રાજીનામા બાદ રાજનીતિક ચર્ચા વધી છે કે તેઓ પોતાની નવી પાર્ટી બનાવી શકે છે.
તમને જણાવી દઈએ કે મહા ગઠબંધનમાં, આરજેડીને ૨૦ બેઠકો, કૉંગ્રેસને ૯ બેઠકો, આરએલએસપી-૫ બેઠક અને જીતન રામ મંજીની પાર્ટી ‘હમ’ને ત્રણ, મુકેશ સાહનીની પાર્ટી વીઆઈપીને ત્રણ બેઠકો ફાળવવામાં આવી છે.
પાછલી પોસ્ટ