આવકવેરા વિભાગે આજે કરદાતાઓને એસએમએસ આધારિત સુવિધાનો ઉપયોગ કરીને તેમના પાન સાથે આધાર લિંક કરવાની તાકીદ કરી હતી.આવકવેરા વિભાગે આજે રાષ્ટ્રીય દૈનિકપત્રોમાં જાહેરાત આપીને કોઈ પણ કરદાતા કઈ રીતે ૫૬૭૬૭૮ અથવા ૫૬૧૬૧ નંબર પર માત્ર એસએમએસ કરીને આધારકાર્ડ અને પાનકાર્ડને લિન્ક કરી શકે તેની જાણકારી આપી હતી.આ ઉપરાંત કરદાતા આવકવેરાની સત્તાવાર ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈને પણ જો તેમના બન્ને કાર્ડના ડેટાબેઝમાં મોટો ફરક ન હોય તો આ બન્ને કાર્ડને લિંક કરાવી શકે છે.
આવકવેરાની ઓનલાઈન સેવા માટે આ બન્ને કાર્ડનું લિન્ક કરવાનું મહત્ત્વનું છે. પાનકાર્ડ માટેની નવી અરજી કરવા સાથે જ તમે આધાર નંબર આપી શક્શો. જો કોઈ કેસમાં પાનકાર્ડ આવી ગયું હોય તો પણ આધાર કાર્ડનો નંબર આપીને તેને રિપ્રિન્ટ કરાવી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે આ મહિનાની શરૂઆતમાં કરદાતાના આધાર કાર્ડ અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર લિંક કરવા નવી ઈ-સુવિધા શરૂ કરી હતી. આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે હવે આધાર કાર્ડ અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર લિંક કરવા ફરજિયાત છે.