લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમરોહા સીટથી કોંગ્રેસના ઉમેદવાર રાશિદ આલ્વીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટીના અનેક ઉમેદવારો આ વખતે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. કોંગ્રેસે રાશિદ આલ્વીના વલણના સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. રાશિદ આલ્વીએ ચૂંટણી નહીં લડવા પાછળ કોઇ નક્કર કારણો આપ્યા નથી. સૂત્રોના કહેવા મુજબ તેઓ ટિકિટ મળવામાં વિલંબને લઇને ભારે નારાજ દેખાઈ રહ્યા હતા. હવે સચિન ચૌધરીને કોંગ્રેસે અમરોહા સીટ પરથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાશિદ આલ્વી ઉત્તરપ્રદેશ કોંગ્રેસની ઘોષણાપત્ર સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. અમરોહામાંથી ઉમેદવારી નહીં કરવાના નિર્ણય બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે. રાશિદ આલ્વીએ કહ્યું છે કે, તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા નથી. હાલમાં અંગત કારણો આલ્વીએ આપ્યા છે. અમરોહામાં ઉમેદવારોની ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થશે. કોંગ્રેસ પાર્ટીએ શનિવારે મોડી રાત્રે પોતાની યાદીમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશની મહત્વપૂર્ણ સીટ અમરોહાથી ઉમેદવાર જાહેર કર્યા હતા. અમરોહા સીટથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ કંવરસિંહ કંવર અને દાનિશ આલ્વી વચ્ચે સીધી ટક્કર રહેવાની વાત કરવામાં આવી રહી હતી. અમરોહામાં ૨૦ ટકાથી વધુ મુસ્લિમ સમુદાયના લોકો છે. દલિત, જાટ સમુદાયના લોકો પણ મોટા પ્રમાણમાં છે. રાશિદ આલ્વી આ સીટથી ૧૯૯૯ની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીની ટીકીટ ઉપરથી જીતી ચુક્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર ચેતન ચૌહાણને આ બેઠક પર એ ખતે આલ્વીએ હાર આપી હતી. માયાવતી પર લાંચ રૂશ્વત લઇને ટિકિટ આપવાના આક્ષેપ બાદ આલ્વીની બહુજન સમાજ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. બે વખત રાજ્યસભા સાંસદ બન્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ રહ્યા છે. આ વખતે પણ આ સીટ પરથી ચૂંટણી લડવાની સંભાવના હતી પરંતુ કોંગ્રેસે એક પછી એક બે લિસ્ટ જારી કરી તેમાં તેમના નામનો સમાવેશ કરવામાં ન આવતા નારાજ દેખાઈ રહ્યા હતા. હાલના દિવસોમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ નારાજ દેખાઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ પૂર્વ કેન્દ્રીયમંત્રી જિતિન પ્રસાદ ભાજપમાં જોડાશે તેવા અહેવાલ આવ્યા હતા પરંતુ હવે જિતિન પ્રસાદે આનો ઇન્કાર કર્યો છે. જિતિન પ્રસાદ લખનૌ લોકસભા સીટ પરથી કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહની સામે મેદાનમાં ઉતરી શકે છે.