ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લામાં કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ગણાતા વિસ્તારમાં ખાંચો પાડવા ભાજપ કાર્યકર અને ખેતમજુર પોપટભાઈ રાઠવાના ઘેર આદિવાસી ભોજનની લિજ્જત માણી હતી. અમિત શાહે મકાઈના રોટલા, ભાજી, ભીંડાદહીનું શાક, અડદના ઢેબરાં અને દાળભાતનું ભોજન લીધું હતુ. દેવળીયાના ૯૦ ટકા કોંગ્રેસને ફાળે જાય છે. કુલ ૩૮૦૦ની વસ્તી ધરાવતા દેવળીયામાં આઝાદી બાદથી ૯૦ ટકા મત કોંગ્રેસને ખાતે જ જાય છે. એટલે કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડવાના આયોજનરૂપે ૩૦૦૭ મતદાતા ધરાવતા આ ગામને અમિત શાહે પસંદ કર્યું હતું. તેઓ હેલિકોપ્ટરથી ઘેલવાટ અને ત્યાંથી કાર દ્વારા દેવળીયા પહોંચ્યા હતા. દેવળીયામાં તેમના ચાર કલાકના રોકાણ દરમિયાન ૧૫ ઘરમાં રૂબરૂ મુલાકાત કરી સરકારના વિકાસકાર્યોની માહિતી આપી હતી. અમિત શાહ સાંજે વડોદરા મુકામે સર સયાજીરાવ નગરગૃહ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનને પણ સંબોધન કર્યું હતું. આવતીકાલે અમિત શાહ બોડેલીમાં આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં સંતોને પણ આમંત્રિત કરાયા છે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ સંગઠનના પ્રાથમિક એકમ એવા બુથસ્તરે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પોતે બુથના કાર્યકરો, ગ્રામજનોને મળશે. રાષ્ટ્રીય પ્રમુખ અખિલ ભારતીય યોજનાના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યો-પ્રદેશોમાં ગરીબ કલ્યાણ વર્ષ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે.
આગળની પોસ્ટ