કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે લાંબી બેઠક કરી હતી. આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ હતી તે અંગે કોઈ માહિતી મળી શકી નથી પરંતુ આ બેઠકમાં વાઘેલાનું કામ ન થયું હોવાનું જાણવા મળ્યું છે. વાઘેલની માંગણી સ્વીકારવાનો રાહુલ ગાંધીએ ઈનકાર કરી દીધો હોવાના અહેવાલ મળ્યા છે. આ બન્ને વચ્ચે બેઠક યોજાયા પછી અશોક ગેહલોતે પણ એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે કોંગ્રેસે ભુતકાળમાં શંકરસિંહ વાઘેલાને ઘણુ બધુ આપ્યું છે તેથી હવે તેમણે નક્કી કરવાનું છે. આધારભુત વર્તુળોએ કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોની પસંદગીમાં પોતાનો સિંહફાળો રહે તેવી માગણી કરી હતી જે રાહુલ ગાંધીએ સ્વીકારી નથી. આ સિવાય મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની વાતને પણ રાહુલ ગાંધીએ નકારી કાઢી હતી. આમ, શંકરસિંહ માટે આ બેઠક નિષ્ફળ રહી છે તેવું ચોક્કસ કહી શકાય. બીજી તરફ આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાને કેન્દ્રિયમંત્રી બનાવ્યા હતા. આ ઉપરાંત આઈપીડીસીના ચેરમેન અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પણ બનાવેલા છે. આમ કોંગ્રેસે શંકરસિંહને ઘણુ બધુ આપ્યું છે હવે ભવિષ્ય તેમણે નક્કી કરવાનું છે. સુત્રોના જણાવ્યા અનુસાર શંકરસિંહ વાઘેલા આજે રાત્રે અથવા કાલે વહેલી સવારે પરત ફરવાના છે. ગઈકાલે ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે બાપુએ મુલાકાત કર્યા બાદ આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે અંદાજે ૪૦ મિનિટ સુધી બેઠક ચાલી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ-શંકરસિંહ વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પદાધિકારીઓની નિમણુક બાબતે પણ વિચાર વિમર્શ થયો હતો. સુત્રોની માનવામાં આવે તો શંકરસિંહ ચૂંટણીની કમાન પોતાને સોંપાય તે માગણી પણ અડગ હોય અને આ મુદ્દે પણ રાહુલ સાથે ગહન ચર્ચા વિચારણા થઈ હતી. સુત્રોએ ઉમેર્યું કે, શંકરસિંહ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને દિલ્હી બોલાવ્યા હતા.
શંકરસિંહ ગઈકાલે ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકતનો રિપોર્ટ ગેહલોતે રાહુલ ગાંધીને સોપ્યો હતો.
પાછલી પોસ્ટ