Aapnu Gujarat
બ્લોગ

વાજપેયી-અડવાણી યુગના મોટા ભાગના નેતાઓની ભાજપમાંથી વિદાય

ભાજપમાં એક સમયે અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણીની જોડીને રામ-લક્ષ્મણની જોડી માનવામાં આવતી હતી. અટલજીના નિધન બાદ હવે અડવાણીને પણ લોકસભાની ફરી ટિકિટ નહીં આપતાં ભાજપમાં હવે રામ-લક્ષ્મણની જુની જોડીનો યુગ સમાપ્ત થઇને હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નવી મોદી-શાહની રામ-લક્ષ્મણની જોડીના યુગનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અટલજીના વિદાય બાદ અડવાણી એક માત્ર એવા સિનિયર નેતા છે કે તેમનાથી ઉપર કોઇ નથી. તેમને સક્રિય રાજકારણમાંથી નિવૃત કરાતાં લોકસભાની ચૂંટણીમાં પણ હવે અડવાણી વગરનું ભાજપ જોવા મળશે. અ.વા. એટલે કે અડવાણી અને વાજપેયીની જોડીના સ્થાને નવી મો.શા. એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નવી જોડીનો ઉદય થયો છે.ભાજપે પોતાની ૩૮ વર્ષની આ યાત્રા દરમિયાન ચાર યુગો જોયા છે. તેમાં અટલ યુગ, અડવાણી યુગ, અટલ-અડવાણી યુગ અને મોદી-શાહ યુગ. આ ચારેય યુગોની પોતાની સંઘર્ષ ગાથાઓ છે. પરંતુ આ સમગ્ર સંઘર્ષ પરિણામમાં બદલાયું મોદી-શાહના યુગમાં. શરુઆત જો પ્રથમ યુગ એટલે કે અટલ યુગથી કરીએ. તો આ યુગમાં ભાજપ એક નવા રાજકીય પક્ષ તરીકે બાળક હતું. પરંતુ તેના નેતાઓ રાજકીય રીતે પરિપક્વ હતાં અને કૉંગ્રેસ તથા તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સામે બાથ ભીડવા માટે ભાજપે પુરતી તૈયારી કરી લીધી હતી. પરંતુ અચાનક કંઇક એવું બન્યું કે ભાજપનું સપનું ચકનાચૂર થઈ ગયું. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ અને ત્યાર બાદ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા લહેર આખા દેશ પર છવાઈ ગઈ. ઇંદિરા લહેરમાં ભાજપ સહિત સમ્પૂર્ણ વિપક્ષ ધરાશાયી થઈ ગયો. ભાજપને માત્ર ૨ જ બેઠકો મળી. પરંતુ ભાજપ હતાશ ન થયો. ચૂંટણીમાં કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. પરંતુ રાજીવ ગાંધીની લોકપ્રિયતા ઓછી થતી ગઈ. બોફોર્સ કૌભાંડ અને શાહબાનો જેવા પ્રકરણે કૉંગ્રેસને નબળી કરી અને દેશમાં કૉંગ્રેસ વિરોધી લહેર ફેલાતી ગઈ. દરમિયાન ૧૯૮૯માં લોકસભાની ચૂંટણી આવી અને ભાજપ આ વખતે રામ મંદિર સહિત કટ્ટર હિન્દુત્વની લહેર પર સવાર હતો. તેનો ફાયદો મળ્યો અને ભાજપને આ ચૂંટણીમાં ૮૫ બેઠકો મળી. આ સાથે જ દેશમાં એક મોટી રાજકીય તાકાત તરીકે ભાજપ સ્થાપિત થઈ ગયો. પરંતુ સત્તાથી હજીય ઘણો દૂર હતો. જનતા દળના વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બન્યા. ભાજપે તેમને બહારથી ટેકો આપ્યો. બીજી બાજુ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રામ રથયાત્રાની શરુઆત કરી કે જે ભારત અને ભાજપનાં રાજકારણ માટે મોટો વળાંક સાબિત થઈ. અડવાણીની રથયાત્રા દરમિયાન હિન્દુઓનું ભાજપ પ્રત્યે ધ્રુવીકરણ થયું. આ સાથે જ પાર્ટીની અંદર અને સામાન્ય પ્રજામાં એક સંદેશ પણ ગયો કે ભાજપનો ચહેરો અડવાણી હોઈ શકે છે, પરંતુ મુંબઈ અધિવેશનમાં અડવાણીએ અટલ બિહારી બાજપાઈને વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરી તમામ ચર્ચાઓ પર વિરામ લગાવી દીધું.આમ, ભાજપે પોતાના ચૂંટણીગત રાજકીય અભિયાનનો પ્રારંભ ૨ બેઠકોથી કર્યો હતો. પરંતુ આજે ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવે છે. ભાજપના આ ૩૮ વર્ષના સંઘર્ષમાં અટલ અને અડવાણીએ સૌથી મોટો અને લાંબો ફાળો આપ્યો છે. પરંતુ સત્તાના સુકાન સુધી લઈ જવાનો શ્રેય મોદી-શાહની જોડીને મળ્યો.ભાજપમાંથી અડવાણી અને ખંડુરીની કારકિર્દી પર પૂર્ણવિરામ સાથે હવે વાજપેયી-અડવાણી યુગના મોટા ભાગના નેતાઓની ભાજપમાંથી વિદાય થઈ ચૂકી છે. આ જૂના નેતાઓમાં એક મુરલી મનોહર જોશી બચ્યા છે. જોશી કાનપુર લોકસભા બેઠક પરથી જીતેલા ને આ બેઠકના ઉમેદવાર નક્કી કરવાના બાકી છે. જોશી ટકશે કે પછી તેમની ગતિ પણ અડવાણી-ખંડુરી જેવી થાય છે તે જોવાનું રહે છે. બાકી એ વખતના બીજા બધા નેતાઓ તો ક્યારનાય પતી ગયા છે. જસવંતસિંહ, યશવંત સિંહા, અરૂણ શૌરી, શાંતાકુમાર વગેરેને પહેલાં જ કોરાણે મૂકી દેવાયા છે. સુષ્મા સ્વરાજ ને ઉમા ભારતી સમજીને પહેલેથી ખસી ગયાં ને ચૂંટણી નથી લડવાનાં તેથી એ યુગની આ બે મહિલાઓ પણ કોરાણે મુકાઈ ગઈ. વેંકૈયાહ ઉપરાષ્ટ્રપતિ બની ગયા તેમાં બાજુ પર મુકાઈ જ ગયા છે. કલરાજ મિશ્રા પણ સમજીને ખસી ગયા છે ને હમણાં શત્રુઘ્ન સિંહાનો પણ વારો પડી ગયો. એ યુગના બે મુસ્લિમ નેતાઓ પૈકી મુખ્તાર અબ્બાસ નકવી પહેલાં જ કોરાણે મુકાઈ ગયેલા છે. આ વખતે શાહનવાઝ હુસૈનને ભાગલપુરમાંથી ટિકિટ નહીં આપીને તેમને પણ વેતરી નંખાયા છે. હવે એકલા જોશી બચ્યા છે. હવે પછીના રાઉન્ડમાં જોશીનો પણ વારો આવી જાય તો નવાઈ નહીં ને એ સાથે મોટા ભાગની સફાઈ પૂરી થઈ જશે. મોદી ફરી વડા પ્રધાન બનશે તો હવે પછીના તબક્કામાં સફાઈનો અંતિમ તબક્કો શરૂ થશે ને બાકી રહેલા જૂના લોકોની પણ સફાઈ થઈ જશે એ નક્કી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, મોદી ફરી વડા પ્રધાન બનશે તો રાજનાથ સિંહ નહીં પણ અમિત શાહ ગૃહ મંત્રી બનશે. આ વાતમાં કેટલો દમ છે તે ખબર નથી પણ મોદી જે રીતે આગળ વધી રહ્યા છે એ જોતાં એ શક્ય છે જ. અત્યારે પણ મોદી કેબિનટમાં જૂના લોકોના બદલે નવા માણસોનો પ્રભાવ વધી જ રહ્યો છે. સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, પ્રકાશ જાવડેકર વગેરે નવી પેઢીના પ્રધાનો જ હાવી થઈ રહ્યા છે. રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જુઆલ ઓરમ જેવા થોડા ઘણા એ સમયના લોકો બચ્યા છે ને તેમને પણ વિદાય કરી દેવાય એ શક્ય છે જ. મોદી એવું કરશે કે નહીં એ ખબર નથી પણ એ એવું કરે તો તેમને એ હક છે જ. ભાજપ ૨૦૧૪માં મોદીના જોરે જીતેલો ને હવે મોદી ફરી ભાજપને જીતાડે તો સ્વાભાવિક રીતે જ તેમને પોતાની રીતે ટીમ પસંદ કરવાનો હક છે જ.
અડવાણીની રાજકીય કારકિર્દી ખતમ થઈ ત્યારે મોદી ભાજપમાં સર્વેસર્વા છે એ યોગાનુયોગ નથી જ ને તેની વાત આપણે નથી કરવી પણ મોદીને અહીં સુધી પહોંચાડવામાં અડવાણીનું યોગદાન બહુ મોટું છે એ ઈતિહાસ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એ વખતે ભાજપમાં વાજપેયીના નામના સિક્કા પડતા. મોદીના શાસનમાં ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણો થયાં ત્યારે વાજપેયી મોદીથી ખફા હતા. મોદી પર એટલું દબાણ હતું કે, ગોવા ભાજપની કારોબારીમાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. એ વખતે ભાજપની નેતાગીરી પણ મોદીને રવાના કરીને જવાબદારીથી હાથ ખંખેરવાના મૂડમાં હતી. લાલકૃષ્ણ અડવાણી એ વખતે નાયબ વડા પ્રધાન હતા ને તે મોદીની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. તેમણ મોદીને દૂર નહોતા કરવા દીધા. અડવાણીના કારણે મોદી બચી ગયા ને પછી તેમણે શું પ્રગતિ કરી એ સૌએ જોયું જ છે. આજે એ જ મોદીના નામના સિક્કા પડે છે ત્યારે અડવાણીએ વિદાય થવું પડે છે.ભાજપ માટે આ સમય નિર્ણાયક છે ને હવે પછી શું થશે તેનો આધાર મોદી ફરી વડા પ્રધાન બનશે કે નહીં તેના પર છે. મોદી ફરી વડા પ્રધાન બનશે તો મોટા પાયે સાફસૂફી થશે એ નક્કી છે. એ વખતે અમિત શાહનો દબદબો વધશે એ પણ નક્કી છે એ જોતાં આ ચૂંટણી અમિત શાહ માટે પણ નિર્ણાયક છે. બીજી તરફ મોદીના વળતાં પાણી થયાં તો અમિત શાહનાં પણ વળતાં પાણી થશે પણ મોદી જીતી ગયા તો ભાજપમાં અમિત યુગ શરૂ થશે કેમ કે મોદીના રાજકીય વારસ તરીકે હવે એ જ છે. અમિત શાહ અત્યાર લગી ગુજરાતના રાજકારણમાં ને પછી ભાજપના સંગઠનમાં રહ્યા. હવે તેમના માટે રાષ્ટ્રીય રાજકારણમાં ગ્રાન્ડ એન્ટ્રીનો સમય છે. આ એન્ટ્રી ગ્રાન્ડ થાય છે કે પછી અમિત શાહ સામાન્ય સાંસદ બનીને રહી જાય છે તે જોવાનું રહે છે.ભારતીય જનતા પક્ષે પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણીમાંથી રાજકીય વિદાયની સાથે અમિત શાહના આગમનની ઘોષણા કરી દીધી છે.અડવાણીની વિદાય તો નક્કી જ મનાઈ રહી હતી. બસ તેની ઔપચારિક ઘોષણાની રાહ જોવાઈ રહી હતી. પણ અમિત શાહનું રાજકીય અખાડામાં ઊતરવું એ ભાજપના ભવિષ્યના રાજકારણ અંગે સંકેત આપે છે.અમિત શાહની ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી ઘોષણાના માધ્યમથી પાર્ટીએ એકસાથે ઘણા બધા સંદેશ આપ્યા છે.પહેલો સંદેશ આ ઘોષણાના રુપમાં આવ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીને હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ જૂની પેઢીની વિદાયનો સંદેશ છે.પહેલી યાદીમાં નામ ન આવવાનો મતલબ છે કે ડૉ. મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ ગઈ છે.ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ભગતસિંહ કોશ્યારી અને કલરાજ મિશ્રએ આગામી સમયનો સંકેત સમજી લીધો હતો અને પહેલેથી જ ચૂંટણી ન લડવાની ઘોષણા કરી નાખી હતી.પૂર્વ મુખ્ય મંત્રી બી.સી. ખંડૂરીને સંરક્ષણ મંત્રાલયની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ પરથી હટાવીને પહેલાંથી જ પાર્ટીના હાઈ કમાન્ડે સંદેશ આપી દીધો હતો.તેમને પોતાના દીકરાનું ભવિષ્ય પણ પાર્ટીમાં સુરક્ષિત ન લાગ્યું. એ માટે તેઓ કૉંગ્રેસમાં જતા રહ્યા.જોકે, તેમનાં દીકરી હાલ ભાજપનાં ધારાસભ્ય છે. હિમાચલમાં શાંતાકુમાર પણ હવે આરામ કરશે તે માની લેવું જોઈએ.જોકે, અડવાણી પોતાની આજની દશા માટે પોતે જ જવાબદાર છે. વર્ષ ૨૦૦૪માં વાજપેયી સરકારની હાર બાદ તેમની સામે અવસર હતો કે તેઓ આગામી પેઢી માટે સ્થાન છોડી દે.પછી ૨૦૦૫માં પાકિસ્તાન યાત્રા દરમિયાન ઝીણાની મઝાર પર તેમના નિવેદન બાદ પાર્ટી અને સંઘ પરિવાર તેમને પાર્ટીમાંથી બહાર કાઢવા માગતો જ હતો.જે પાર્ટીના તેઓ અધ્યક્ષ હતા તેના જ સંસદીય બોર્ડે તેમની વિરુદ્ધ નિંદાપાત્ર પ્રસ્તાવ પાસ કર્યો.
સંઘ સાથે તેમનો કાર્યકારી સંબંધ તે બાદ તૂટી ગયો પણ દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓના પરસ્પર ઝઘડાના કારણે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં તેમને પાર્ટીના વડા પ્રધાન પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા અને એ સાથે જ પાર્ટીની બેઠકો પહેલાં કરતાં પણ ઓછી થઈ ગઈ.ચૂંટણી બાદ તેમણે ઘોષણા કરી કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. પણ થોડા જ દિવસોમાં તેમણે પોતાના નિવેદનથી પલટી મારી અને નેતા પ્રતિપક્ષનું પદ છોડવા તેઓ તૈયાર ન થયા.સંઘે દખલગીરી કરી અને તેમને હટાવીને લોકસભામાં સુષમા સ્વરાજ અને જસવંતસિંહને હટાવીને રાજ્યસભામાં અરુણ જેટલીને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા.વર્ષ ૨૦૧૩માં અડવાણીએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનતા રોકવા માટે બધી જ તાકાત લગાવી દીધી પણ હારી ગયા.પાર્ટી અને સંઘ પરિવાર મોદી સાથે ઊભો હતો. તો અડવાણી પાંચ વખત ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૯, ૨૦૧૩ અને ૨૦૧૪માં સન્માનપૂર્વક નિવૃત્ત થવાનો અવસર ગુમાવી દીધો.અડવાણી પ્રકરણથી અલગ અમિત શાહનું લોકસભા ચૂંટણી લડવું કંઈક તાત્કાલિક અને કંઈક લાંબા ગાળાના લક્ષ્યને સાધે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને છોડીને ઉત્તર પ્રદેશ જતા રહ્યા. ગત વખતે તેઓ વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા. આ વખતે તેઓ નહીં લડે તે નક્કી હતું. અડવાણીને ટિકિટ નહીં મળે તે પણ નક્કી હતું.
તેવામાં ગુજરાતના લોકોને સંદેશ જઈ શકતો હતો કે ભાજપ અને મોદી માટે ગુજરાતનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે.ગત ચૂંટણીમાં ભાજપ ગુજરાતની બધી જ ૨૬ બેઠકો પર વિજયી થયો હતો.અમિત શાહનું ગાંધીનગરથી ચૂંટણી લડવું ગુજરાતના લોકોને આશ્વસ્ત કરશે કે પાર્ટીના અધ્યક્ષ ગુજરાતનું સંસદમાં પ્રતિનિધિત્વ કરશે.ગાંધીનગર બેઠકથી ભાજપે બીજો સંદેશ વિપક્ષના એ નેતાઓને આપ્યો છે કે જેઓ કહી રહ્યા છે કે તેમણે પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવો છે એટલે પોતે ચૂંટણી લડી રહ્યા નથી.ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીને. અમિત શાહની ઉમેદવારી બાદ માયાવતીનો તર્ક ખોખલો દેખાશે.ઉત્તર પ્રદેશમાં ગઠબંધનના બીજા પક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર દબાણ વધી જશે.તેમણે પહેલાં ઘોષણા કરી હતી કે તેમનાં પત્ની ડિમ્પલ યાદવ કન્નૌજથી ચૂંટણી લડશે.આ બેઠક પરથી અખિલેશ યાદવ પોતે ચૂંટણી લડવાના હતા પણ હવે ડિમ્પલની ઉમેદવારીની જાહેરાત થઈ ગઈ છે.અખિલેશ યાદવે ૨૦૦૯થી કોઈ ચૂંટણી લડી નથી. આ જ રીતે માયાવતીએ ૨૦૦૨ બાદ કોઈ ચૂંટણી લડી નથી.
અખિલેશ યાદવ પાસે તો રાજ્યસભામાં જવાનો વિકલ્પ છે પણ માયાવતી પાસે તો એ પણ નથી.અમિત શાહના ચૂંટણી મેદાનમાં ઊતર્યા બાદ માયાવતી અને અખિલેશ યાદવ માટે આ મુદ્દા પર જવાબ આપવો અઘરો બની જશે.અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે.મોદીની સાથે જે નેતાઓની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે.અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. લોકસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર ફરી બની તો પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં નંબર બે પર હશે.વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ માટે તે મોટો ઝટકો હશે. સંજોગની વાત એ છે કે પાર્ટી અધ્યક્ષ પદ પણ અમિત શાહને રાજનાથસિંહને હટાવ્યા બાદ જ મળ્યું હતું.છેલ્લાં પાંચ વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો મોદી-શાહની જોડીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, અસમ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને હવે ગોવામાં પચાસ વર્ષ કે તેના કરતાં ઓછી ઉંમરના નેતાઓને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે સંઘ સહકાર્યવાહક રહીને સંઘમાં પેઢી પરિવર્તનનું કામ કર્યું હતું અને તે જ સમયે ભાજપના નેતાઓને પણ આમ કરવાની સલાહ આપી હતી.ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વધુ એક નામ ન હોવું ચોંકાવે છે. તે છે અસમના મંત્રી હેમંત બિસ્વા શર્માનું.કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટીએ તેમને છૂટ આપી છે કે દેશની ગમે તે બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે છે.છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં ભાજપના વિસ્તારમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેઓ અમિત શાહ અને વડા પ્રધાનના પ્રિય પાત્ર છે.યાદી આવ્યા બાદ અમિત શાહે ટ્‌વીટ કર્યું કે પાર્ટીએ અનુરોધ કર્યો છે કે તેઓ ચૂંટણી લડવાના બદલે પૂર્વોત્તરમાં જે કામ કરી રહ્યા છે તેમાં વધારે સમય આપે.કુલ મળીને લોકસભા ઉમેદવારોની પહેલી યાદી પર મોદી-શાહની છાપ સાથે જ એક વાત સ્પષ્ટ જોવા મળે છે કે સૌથી વધારે ભાર એ વાત પર છે કે ઉમેદવાર જીતવા વાળા હોય.

Related posts

કાશ્મીર મામલે કડક નીતિ અનિવાર્ય

aapnugujarat

ભાજપને રામ લહેરથી વધુ બેઠકો મોદી લહેરમાં મળી

aapnugujarat

સાથી પક્ષોની નારાજગી ભાજપ માટે મુશ્કેલી સર્જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1