આગામી લોકસભા ચૂંટણીના તારીખો જાહેર કરવા મામલે કોંગ્રેસે પ્રધાનમંત્રી અને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે, મોદી સરકાર હાલમાં સરકારી કાર્યક્રમોનો ઉપયોગ રાજકીય સભાઓ માટે કરી રહી છે. કોંગ્રેસ આ મામલે આક્ષેપ કર્યો હતો કે, લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના કાર્યક્રમોને પૂરા થવાની રાહ જોઇ રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વીટ કરી દાવો કર્યો હતો કે, મોદી સરકાર છેલ્લી ઘડી સુધી સરકારી ખજાનાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારી કાર્યક્રમોનો ઉપયોગ રાજકીય સભાઓ, ટીવી રેડિયો તથા પ્રિન્ટ પર રાજકીય જાહેરાતો લેવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે, ચૂંટણી પંચ સરકારને પૂરેપૂરી છૂટ આપી રહી છે કે તે છેલ્લી ઘડી સુધી પૈસાનો ઉપયોગ કરે.
બીજી તરફ ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રો મુજબ લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં થવાની સંભાવના છે. સૂત્રો મુજબ આગામી ચૂંટણી ૬થી ૭ તબક્કામાં થઇ શકે છે. આ મામલે વિતેલા કેટલાક સમય દરમિયાન સોશિયલ મીડિયામાં ચૂંટણીની ખોટી તારીખો દર્શાવતી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીએ વિશિષ્ટ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય ચૂંટણીની રાહ જોઇ રહેલ નાગરિકો માટે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના નામની યાદી પણ ફરતી થઇ છે. ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધન પછી તેમના ઉમેદવારોની ખોટી યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેની પર બહુજન સમાજ પાર્ટીએ ફરિયાદ પણ નોંધાવી હતી. આક્ષેપોના સમયમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હોવા છતાં પણ આગામી ચૂંટણી તેના નક્કી કરેલ સમયે જ યોજાશે.