ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડના ડિરેકટર શ્રી ગજેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય અતિથિપદે અને રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ સહિત જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ / અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં રાજપીપલામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આજે યોજાયેલા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન (PM-SYM) અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજનાના જિલ્લાકક્ષાના પેન્શન કાર્ડ વિતરણ સમારોહને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો. નર્મદા જિલ્લામાં આ યોજના હેઠળ આજદિન સુધી ૩૨૬૭ લાભાર્થીઓની નોંધણી થઇ છે.
લાભાર્થીઓને પેન્શન કાર્ડનું વિતરણ કરતાં ગુજરાત પ્રવાસન નિગમ લિ.નાં ડિરેક્ટરશ્રી ગજેન્દ્રરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાથી હવે સામાન્ય વ્યક્તિ પણ સ્વમાનભેર જીંદગી જીવી શકશે. નોકરી વિના કોઇને પેન્શન મળે તેવું કોઇએ વિચાર્યું નહી હોય, પરંતુ આ સરકારે તેનું અમલીકરણ કરી બતાવ્યું છે. પાછલી ઉંમરમાં પેન્શન મળવાથી હવે કોઇને મુશ્કેલી નહી પડે. શાકભાજીવાળા, રીક્ષાચાલક, આશાબહેનો, આંગણવાડીની બહેનોને પણ તેનો લાભ મળશે. આમ, દેશભરમાં આગામી પાંચ વર્ષમાં અસંઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટા પાયે અંદાજે ૧૦ કરોડ જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ પૂરો પાડવાના પ્રયાસો કરાયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં ૧૮ થી ૪૦ વર્ષની વયના અને માસિક રૂા.૧૫ હજારથી ઓછી આવક હોય તેવા શ્રમિકો માસિક રૂા.૫૫ થી રૂા.૨૦૦/- સુધીનું પ્રિમીયમ ભરીને ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયેથી DBT થી માસિક રૂા.૩૦૦૦/- નું નિશ્વિત પેન્શનનો લાભ મેળવશે. ૬૦ વર્ષની ઉંમર બાદ શ્રમયોગીના મૃત્યુનાં કિસ્સામાં તેના પતિ / પત્ની ૫૦ ટકા પેન્શન મેળવશે.
આ પ્રસંગે અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખૂલ્લી મૂકાયેલી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના કાર્યક્રમના કરાયેલા જીવંત પ્રસારણને ઉપસ્થિત મહાનુભાવો અને શ્રમયોગી લાભાર્થીઓએ નિહાળ્યું હતું.
આ યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓ, આયુષમાન યોજનાના લાભાર્થીઓ PMJJBY / PMSBY ના લાભાર્થીઓ, ખેતમજૂરો, રીક્ષાચાલકો, આશાવર્કરો, એપીએમસીમાં કામ કરતાં મજૂરો, મધ્યાહન યોજનાના વર્કરો, ફેરીયાઓ, બીડી વર્કરો, ઘરેલું કામદારો, હેન્ડલૂમ કારીગરો, આંગણવાડી વર્કર, હોમ બેઇઝ વર્કરોને લાભાર્થીઓ તરીકે આવરી લેવાશે.