ચોખાનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે રહેવા છતાં પણ ૨૦૧૮-૧૯માં દેશનું અનાજ ઉત્પાદન ૧ ટકો ઘટીને ૨૮.૧૩૭ કરોડ ટન થવાનું અનુમાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં અનાજ, તેલીબીયા, કપાસ, શેરડી, ફળો અને શાકભાજીનું ઉત્પાદન વધારે થવાના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળતા હતા પણ આ વર્ષે ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતોને તેમના પાકના ભાવ સારા મળી શકે છે.
સરકારે કહ્યું કે, દેશમાં જાડા ધાન્ય અને કઠોળની પેદાશ ઓછી થવાના કારણે ચાલુ પાક વર્ષ (જુલાઈથી જૂન)માં અનાજનું ઉત્પાદન ઘટવાનું અનુમાન છે. ૨૦૧૭-૧૮ના પાક વર્ષ દરમ્યાન દેશનું અનાજ ઉત્પાદન ૨૮.૪૮૩ કરોડ ટન રહ્યુ હતું. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ૨૦૧૮-૧૯ના પાક વર્ષ દરમિયાન ઉત્પાદનના અંદાજીત આંકડા બહાર પાડતા કહ્યુ છે કે આ વર્ષે દેશભરમાં અનાજ ઉત્પાદન ૨૮.૧૩૭ કરોડ ટન થવાનો અંદાજ છે. જો કે મંત્રાલયે કહ્યું કે, સમયની સાથે અને સ્પષ્ટ માહિતી પછી તેમા ફેરફાર શકય છે.
મંત્રાલયના આંકડાઓ મુજબ ચાલુ વર્ષે જૂન-જુલાઈ દરમ્યાન વરસાદ છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશથી ૯ ટકા ઓછો પડયો હતો. ૨૦૧૮-૧૯માં ચોખાનું ઉત્પાદન ૧૧.૫૬ કરોડ ટન રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૧૧.૨૯૧ ટન ઉત્પાદન કરતા વધારે છે. જ્યારે ગયા વર્ષના ૯.૯૭ કરોડ ટનની સરખામણીમાં આ વર્ષે ઘઉંનુ ઉત્પાદન થોડુંક ઓછું એટલે કે ૯.૯૧ કરોડ ટન રહેવાનો અંદાજ છે.
પાક વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન જાડા ધાન્યનું ઉત્પાદન ૪.૨૬ કરોડ ટન થવાનો અંદાજ છે. જે ગયા વર્ષના ૪.૬૯ કરોડ ટનથી ઓછું છે. જ્યારે કઠોળનું ઉત્પાદન ગયા વર્ષના ૨.૫૨ કરોડ ટન સામે આ વર્ષે ૨.૪૦ કરોડ ટન થવાનું અનુમાન છે.