લોકસભાની ચૂંટણીના ઘંટારવ વચ્ચે વડાપ્રધાન મોદી ૪થી અને ૫મી માર્ચે ગુજરાતના પ્રવાસે છે. મોદી સારી રીતે જાણે છે કે, હાલમાં નારાજ પાટીદાર સમાજ લોકસભામાં ભાજપને મોટો ફટકો આપી શકે છે. એટલે મોદીએ ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કડવા અને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્રોને આધાર બનાવ્યા છે. ગુજરાતમાં ભાજપે બઢત મેળવવી હોય તો પાટીદાર સમાજની નારાજગી પોષાય તેમ નથી. જેથી મોદીએ આ બંને આમંત્રણો પીએમ હોવા છતાં સ્વીકારી લીધા છે. જેઓ ૪ અને ૫ માર્ચે ગુજરાતમાં છે.અમદાવાદમાં નિર્માણ પામનાર વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ૪ માર્ચે બપોરે ૩ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાસપુરમાં ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ૧૫ દેશના પ્રતિનિધિઓ અને ૫ લાખ લોકો ઉપસ્થિત રહેશે. તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જણાવ્યું હતું. ભૂમિપૂજનના દિવસે ૫૫૫૫ પાટલા સાથે એકસાથે દેશવિદેશના લોકો પૂજન કરશે. જ્યારે મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામ ખાતે ૧૦૦ વીઘાં જમીનમાં ૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એમ્પાવરમેન્ટ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દેવાના ભાગરૂપે બેઠક યોજાઈ હતી, જેમાં ૨૫૦૦થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં ૫મી માર્ચે લેઉવા પટેલોની આસ્થાનું સ્થાન અન્નપુર્ણાધામના મૂર્તિપ્રતિષ્ઠાન મહોત્સવમાં ભાગ લેવાના છે. જેમાં અંદાજે રાજ્યભરમાંથી ૨૫ હજારથી વધુ લેઉવા પાટીદારો પધારવાના છે. પંચધાતુમાંથી બનેલું અન્નપૂર્ણાધામ મંદિર ગાંધીનગરના અડાલજ નજીક આકાર પામી રહ્યું છે. જે વિશ્વનું પ્રથમ ધાતુ નિર્મિત મંદિર છે.મંદિરના ટ્રસ્ટી ડી. એમ. ગોલ, સંયોજક આર. પી. પટેલ અને મુખ્ય સંયોજક સી. કે. પટેલના જણાવ્યા અનુસાર, એમ્પાવરમેન્ટ હબ ખાતે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી, રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, વર્કિંગ વુમન સહિત વિવિધ છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ, એનઆરઆઈ ભવન, સંગઠન ભવન, અદ્યતન સિનિયર સિટીઝન્સ ભવન, કન્યા-કુમાર વર્કિંગ વીમેન હોસ્ટેલ, હેલ્થ, સ્પોટ્ર્સ એન્ડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર કેર યુનિટ ભવન વગેરેનો સમાવેશ કરવામાં આવશે.ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે, જેમાં સામાજિક સમરસતાને મજબૂત કરવાની સાથે વ્યસનમુક્તિ અને બેટી બચાવો અભિયાન હેઠળ વિવિધ કાર્ય થશે. તદુપરાંત પાંચ વર્ષમાં ૧ હજાર કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે અને ૨ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ ૧૦ વર્ષમાં પૂર્ણ કરાશે. ઉમિયા માતાનું વિશ્વના વિખ્યાત મંદિરો પૈકી સૌથી મોટું મંદિર શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવશે. અતિ મોડર્ન આરોગ્ય ભવન પણ બનાવવામાં આવશે. યુવા વર્ગ માટે કલ્ચર ક્લબ અને યોગ સંકુલનું નિર્માણ થશે તેમજ સૌથી મોટું એનઆરઆઈ ભવન પણ બનાવવામાં આવશે. ઉમિયા માતાનું વૈશ્વિક કક્ષાનું આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરાશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ