પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ સાવચેત બનેલી છે અને વ્યાપક તપાસ ચાલી રહી છે. આના ભાગરુપે ઉત્તરપ્રદેશ પોલીસના એટીએસ દ્વારા સહારનપુરના દેવબંધમાંથી બે શકમંદ આતંકવાદીઓની ધરપકડ કરી લીધ છે. આ આતંકવાદીઓના સંબંધ જૈશે મોહમ્મદ સાથે હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે આજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જે પૈકી એક આતંકવાદી શાહનવાઝ અહેમદ તેલી કાશ્મીરના કુલગામનો નિવાસી છે. શાહનવાઝ જૈશનો સક્રિય સભ્ય છે. જ્યારે બીજો આતંકવાદી અકીબ અહેમદ મલિક પુલવામાનો નિવાસી છે. બંને પોતાને વિદ્યાર્થી તરીકે ગણાવીને રહેતા હતા. પોલીસ આ આતંકવાદીઓના પુલવામા હુમલા સાથે કોઇ સંબંધ છે કે કેમ તેને લઇને તપાસ કરી રહી છે. ડીજીપીએ કહ્યું હતું કે, શાહનવાઝને આતંકવાદી સંગઠન તરફથી ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આજ ઇરાદાથી તે અનેક વખત દેવબંધમાં આવ્યો તો. લાંબા સમયથી તેઓ પોલીસ ટીમની બાજ નજર હેઠળ હતા. બીજો આતંકવાદી અકીબ શાહનવાઝનો સાથી છે. પોલીસે કહ્યું છે કે, શાહનવાઝને ગ્રેનેડ માટેના નિષ્ણાત તરીકે ગણવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે, બંને આતંકવાદીઓ કોઇપણ પ્રકારની કોલેજ અને સંસ્થામાં એડમિશન વગર રહેતા હતા. પોલીસને તેમની પાસેથી બે તમંચા અને ૩૦ કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત જેહાદી વાતચીત પણ મળી આવી છે. ફોટો અને વિડિયો પણ તેમની પાસેથી મળ્યા છે જેમાં તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું છે કે, ગુરુવારે મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને મોડેથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પોલીસ તેમની પુછપરછથી કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી શકે છે. આ આતંકવાદીઓએ હજુ સુધી કેટલા લોકોની ભરતી ત્રાસવાદી સંગઠનોમાં કરી છે. તેમના ફંડિંગ ક્યાથી થઇ રહ્યા છે તે અંગે માહિતી ેળવવામાં આવશે. ડીજીપીએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ પોલીસ આ સંબંધમાં જમ્મુ કાશ્મીર પોલીસના સંપર્કમાં છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ એટીએસે જૈશના બે શકમંદોને સહારનપુરથી પકડી લીધા છે.
આગળની પોસ્ટ