Aapnu Gujarat
ગુજરાત

અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો : વિદ્યાર્થીની કુદી ગઈ

જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ-૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફિલ્મી ઢબે અપહરણ કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. જો કે, ધોરણ-૧૧ની આ નાનકડી વિદ્યાર્થીનીએ જબરદસ્ત હિંમત દાખવી ચાલુ કારમાંથી જ કૂદકો મારી બુકાનીધારી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છટકવામાં સફળતા મેળવી હતી. ચાલુ કારે કૂદવાના કારણે વિદ્યાર્થીનીને ઇજા પહોંચી હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બીજીબાજુ, વેજલપુર પોલીસે આરોપી ત્રણ શખ્સો વિરૂધ્ધ અપહરણ સહિતના ગુના હેઠળની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જુહાપુરમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ૧૧મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેના ઘરની થોડેક દૂર આવેલા ટ્યૂશન ક્લાસીસમાં સાંજે ટ્યૂશન માટે જાય છે. હાલ પરીક્ષા નજીક હોવાથી તે ટ્યૂશન ક્લાસીસમાં ઓવરટાઇમ અભ્યાસ કરે છે. ગઇકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સગીરા ટ્યૂશન ક્લાસીસથી તેના ઘરે ચાલતી ચાલતી આવતી હતી તે સમયે એક સિલ્વર કલરની ઇકો કાર તેની પાસે આવી હતી. જે ફિલ્મમાં વાનમાં આવેલા શખ્સો લોકોનું અપહરણ કરે તેવી જ રીતે ઇકો કારમાં આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ સગીરાનું જાહેર રોડ પરથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ કર્યા બાદ કાર પુરઝડપે જતી રહી હતી. થોડેક દૂર જઇને કાર ધીમી પડી ત્યારે સગીરાએ અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છુટવા માટે બહાદુરીથી કારનો દરવાજો ખોલી દીધો હતો અને નીચે ઝંપલાવ્યું હતું. સગીરા રોડ પર પટકાઇ હતી જ્યારે અપહરણકર્તા કાર લઇને નાસી ગયા હતા. જમીન પર પટકાતાં સગીરા ઇજાગ્રસ્ત થઇ હતી. પરંતુ તે હિંમત હાર્યા વિના પહેલા સીધી પોતાના ઘરે પહોચી હતી. સગીરાએ તેની સાથે થયેલી તમામ હકીકત માતા પિતાને કહી હતી અને ત્યાંજ ઢળી પડી હતી. અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છૂટવા માટે સગીરાએ છલાંગ લગાવતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં લઇ ગયા હતા. અપહરણની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક વી.એસ. હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાને પગલે તપાસનો દોર શરૂ કર્યો હતો. સગીરાએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે અપહરણકર્તાઓ ૪૦ થી ૫૦ વર્ષની ઉમરના હતા અને તેમને મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. અપહરણ બાદ સગીરાને કારમાં માર મારવામાં આવ્યો હતો જ્યારે કેટલાક લોકો ફોન પર વાતો કરતા હતા. સગીરાએ આપેલા ચોંકાવનારા નિવેદન બાદ વેજલપુર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સગીરાનું અપહરણ કયાં કારણોસર કરવામાં આવ્યું હતું તે મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે ત્યારે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસને શંકા છે કે સગીરાનું અપહરણ અંગત અદાવતને પાર પાડવા માટે કરવામાં આવ્યું છે કારણ કે સગીરના પિતા મધ્યમવર્ગીય છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સગીરાનું અપહરણ રૂપિયા માટે નહીં પરંતુ કોઇ અન્ય કારણોસર કરવામાં આવ્યું હોવાનું પોલીસ માની રહી છે અને તમામ પાસાઓ ધ્યાનમાં લઇ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંત

editor

ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘વીજળી અને પાણી : બચત, જાળવણી અને સલામતી’ વિષય ઉપર 83મી પ્રવચનમાળા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1