પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં આપ દ્વારા આયોજિત રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ ભાજપ વિરૂદ્ધ તમામ પાર્ટીઓ એક સાથે લડે તે વાત પર જોર આપ્યું.
તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં અમે એકઠાં થઈને લડીશું. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ-લેફ્ટની સાથે અમારી લડાઈ યથાવત રહેશે પરંતુ રાષ્ટ્રીય સ્તરે અમે એક સાથે લડીશું.
દિલ્હીના જંતર મંતર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેલી બોલાવી હતી. જેમાં મમતા બેનર્જી ઉપરાંત આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, શરદ પવાર અને સીતારામ યેચુરી ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત સપાના રામ ગોપાલ યાદવ અને આરએલડીના ત્રિલોક ત્યાગી સ્ટેજ ઉપર જોવા મળ્યા. જોકે સ્ટેજ પર મમતા આવે તે પહેલાં યેચૂરી અને ડી-રાજાએ સ્ટેજ છોડી દીધું હતું.
મમતાએ કહ્યું, તેઓને મારા વિરૂદ્ધ લડવા દો, મને કોઈજ ફર્ક નથી પડતો. દેશ માટે હું મારું જીવન અને પાર્ટીનું બલિદાન આપવા તૈયાર છું. આ પહેલાં તેઓએ કહ્યું, આજે લોકસભાનો અંતિમ દિવસ છે. અમે બાપૂને પ્રાર્થના કરી છે કે ભાજપ અને મોદી બાબૂને હટાવો અને દેશને બચાવો.
૧૯ જાન્યુઆરીએ કોલકાતામાં મમતાએ કરી હતી મહારેલીઃ આ પહેલાં ૧૯ જાન્યુઆરીએ મમતાએ કોલકાતામાં મહારેલી કરી હતી, જેમાં ૧૫ પક્ષના નેતાઓ સામેલ થયા હતા.