ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉદાસીન રહેલી સરકારને ઢંઢોળવા આગામી ૧૫ આને ૧૬ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ધરણા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે.
આ આંદોલન અંતર્ગત આજે ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ રાજ્ય સરકાર સામે મોરચો માંડી સ્થાનિક કક્ષાએ ધારણા કરવા સાથે ધારાસભ્ય અને સંસદસભ્યને આવેદનપત્ર આપ્યા હતા. રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્ધારા તેમની પડતર માંગણીઓનો યોગ્ય ઉકેલ નહિ આવે તો આજથી છ દિવસ કાળી પટ્ટી ધારણ કરી શાળામાં ફરજ બજાવી ગાંધીનગરમાં રાજ્યવ્યાપી ધરણા કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે આજે સમગ્ર જિલ્લાના શિક્ષક ભાઈબહેનોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી આંદોલનના શ્રીગણેશ કર્યા છે. જિલ્લા પ્રમુખ મીઠાભાઈ પટેલ અને મહામંત્રી જગદીશ એમ.પટેલ સહીત હોદેદારો અને તાલુકા પ્રમુખોની રાહબરી હેઠળ શિક્ષકોની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા બુલંદ અવાજે રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના હોદેદારોએ માર્ગદર્શન આપી ૧૬ ફેબ્રુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા શિક્ષકોને જણાવી રાજ્યવ્યાપી ધરણામાં ઉમટી પાડવા હાકલ કરી હતી.આ પ્રસંગે શિક્ષક જ્યોતના સંપાદક જશવંતશિંહ ભાટીએ શિક્ષકોની પડતર માંગણીઓ અંગે કહ્યું કે, ૧૯૯૭ થી અત્યાર સુધીના તમામ ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોની નોકરી સળંગ ગણવી જોઈએ. નવી લાગુ થયેલી પેન્શન યોજના બંધ કરી જૂની યોજના જ ચાલુ રાખવી, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગથી ગ્રેડ આપવા, શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં ન જોતરવા તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સમાન કામ સમાન વેતનના નિયમની અમલવારી કરવા અને ફિક્સ પગારવાળી ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા જેવા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ જિલ્લા સેવાસદન કચેરી સામે ખુલ્લી જગ્યામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રતીક ધરણા યોજી સાંસદ દીપ સિંહને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી શિક્ષકોની પડતર માંગણી હકારાત્મક પ્રતિભાવ નહિ મળે તો ૬ દિવસ કાળી પટ્ટી ધારણ કરી શાળામાં ફરજ બજાવવાની જાહેરાત કરી હતી.