મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં પોલીસ અને મહેસૂલ વિભાગ સૌથી ભષ્ટ્ર હોવાનું ઉચ્ચારણ કરતાં વિવાદ શરૂ થયો હતો. જોકે, બે મહિના પહેલા થયેલા આ નિવેદનમાં એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)એ પણ સીએમના સૂરમાં સૂર પુરાવતાં આંકડા જાહેર કર્યા છે. જે ૨૦૧૮ની સાલમાં ગૃહવિભાગ (પોલીસ) અને મહેસૂલ વિભાગનો ભષ્ટ્ર વિભાગોમાં ૧ થી ૩માં નંબર આવે છે. ૨૦૧૭ની સાલમાં એસીબીની ટીમે ભષ્ટ્રાચાર અધિનિયમ હેઠળ લાંચ લેવાના અંગેના માત્ર ૧૪૮ ગૂના નોંધ્યા જ્યારે ૨૦૧૮ની સાલમાં અધધ કહી શકાય તેમ ૩૩૩ જેટલા ભષ્ટ્રાચારના કેસ કરીને કુલ ૭૨૮ લોકોની ધરપકડ કરી છે.
મુખ્યમંત્રીના નિવેદનથી મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આ મામલે રજૂઆત પણ કરી હતી. જો કે, એસીબીની કાર્યવાહીના આંકડા મુખ્યમંત્રીના નિવેદન સત્યની નજીક દેખાઈ રહ્યું છે.એસીબીની ટીમે ૨૦૧૮ની સાલમાં ૨૦૧૭ની સરખામણીએ ૧૮૪ કેસ વધારે કર્યા છે. જેમાં કુલ્લે ૭૨૮ લોકોની ધરપકડ કરી જેમાં ૨૫૬ ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. ગૃહવિભાગ ૮૧ લાંચના કેસ સાથે પ્રથમ તો મહેસૂલ વિભાગ ૨૩ કેસ સાથે ત્રીજા ક્રમે અને ૫૯ કેસ સાથે પંચાયત,ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણનો બીજો નંબર આવે છે.
એસીબીએ કરેલા કુલ કેસમાં ૨૨૩ ટ્રેપ, ૨૮ ડીકોય, ૧૨ ડી.એ અને ૬૯ અન્ય લાંચના કેસ કર્યા છે. જેમાં કલાસ વન કક્ષાના ૬૯, કલાસ-૨ના ૩૩૧,કલાસ-૩ના ૩૨ અને કલાસ-૪ના ૯૧ સરકારી કર્મચારીઓ લાંચ લેવાના મામલે કે આવક કરતાં વધુ સંપતી ધરાવવાના કેસમાં ઝડપાયેલા છે. ૨૦૧૭ની સાલમાં કલાસ-૩ના ૧૨૯ ઓફીસરો લાંચ લેવામાં પકડાયા જેઓ અન્ય કલાસના અધિકારીઓ કરતાં લાંચ લેવામાં અવ્વલ નંબરે હતા. ૨૦૧૮માં પણ કલાસ-૩ના ૩૩૬ અધિકારીઓ લાંચ લેવામાં પકડાયા હોવાથી તેઓએ પોતાનો ક્રમ જાળવી રાખ્યો છે.