ગુજરાતના કરોડો લોકોની જીવાદોરી એવા સરદારસરોવરના જળ પર કોની નજર લાગી ગઈ કે, તે પાણી પીવા અંગે લોકોમાં શંકા ઉભી થવા લાગી છે! જ્યારે નર્મદાના દુષિત પાણી મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે.
કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતું કે, નર્મદા યોજનાથી પિવાનું પાણી અપાય છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની તપાસ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ ક્લોરિફિકેશન થાય છે. તેમણે વધુમાં જણાવ્યું પિવાના પાણી માટે કોઇ મુશ્કેલી નથી. પાણીની તપાસમાં કોઇ ક્ષતિ જોવા મળી નથી. પાણીમાં મરેલી માછલીઓ જોવા મળી હતી.
જો કે, હાલમાં કોઇ ચિંતાનો વિષય નથી. માછલી મરવા બાબતે હાલ તપાસ ચાલુ છે. સિંચાઇ અને પાણી પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, જળની રાણી અને જળ જ જેનું જીવન છે એવી માછલીઓ નર્મદા ડેમમાં ટપોટપ મરવા લાગી તો તે પાણી માણસ જાત માટે ઝેર સમાન હોવાનો અહેવાલ સામે આવ્યો હતો.
હવે ઉનાળો દૂર નથી અને તમામ જળાશયો સુકાવાની અણી પર છે, ત્યારે આખા ઉનાળો જેના આધારે કાઢવાનો છે તે માં નર્મદાના જળ પણ માનવીય ભૂલને કારણે ઝેર સમાન બની જશે તો જ લોકો જશે કયાં તેવી ચિંતા ઊભી થઈ છે.
નર્મદા ગુજરાતની જીવાદોરી છે અને એટલે જ તો આ ડેમને યુગો સુધી આંચ ન આવે તે માટે ભૂકંપપ્રૂફ પણ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહી કોઈ દેશદ્રોહી તત્વો દ્વારા આ ડેમને ભાંગફોડનું નિશાન બનાવવામાં ન આવે તે માટે ચોવીસે કલાક સુરક્ષાકર્મીઓને પણ તહેનાત રખાયા છે.