કોંગ્રેસના નેતાએ પોલીસ દ્વારા દબાણપૂર્વક કરાવેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે પગલાં લેવા અમદાવાદ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે. કોંગ્રેસના પ્રવક્તા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે અમદાવાદ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું, ’આપની હકુમતમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના બની હતી. જેમાં કાયદેસર રીતે ભેંસ અને પાડાના માંસનું વેચાણનો વ્યવસાય કરતાં ૪ વ્યક્તિઓને પકડી લીધા અને શારિરીક ઈજા પહોંચાડવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું હતું.’
બદરુદ્દીન શેખે ફરિયાદમાં લખ્યું કે, ’કાયદેસર રીતે ભેંસ અને પાડાના માંસનું વેચાણ કરતાં ૪ વ્યક્તિઓને પકડીને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આપખુદ વલણ દાખવી તેમને પકડી લીધા અને શારિરીક ઈજા પહોંચાડવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું હતું. આ ઘટના પછી વેપારીઓ અને સ્થાનિકોમાં બેચેની અને આક્રોશ ફેલાયેલો છે. પીડિતોને ન્યાય અપાવવા તાત્કાલીક કાયદાકિય પગલાં ભરવામાં આવે.’
શેખે પોતાની ફરિયાદમાં પીડિતોના નામ ઉપરાંત જે પોલીસકર્મીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કર્યું તેમના નામ સાથે ઉલ્લેખ કર્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કૃત્ય કરાવનારા પોલીસકર્મી એએસઆઈ ભૂપેન્દ્રરસિંહ તેમજ ગોપાલ નામના બે કોન્સ્ટેબલ અને રમેશ દેસાઈએ કરાવ્યું છે.
આ અંગે પીડિતોએ કહ્યું કે, અમને ખૂબ જ માર્યા અને અમારી સાથે શરમજનક કૃત્ય કરાવ્યું. અમને કતલખાનાથી લઈ ગયા. પહેલા અમને કતલખાને માર્યા અને પોલીસ સ્ટેશને પણ માર્યા. પકડાયેલા ૪ પૈકી બે યુવાનોને કહેવામાં આવ્યું કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવા દબાણ કરવામાં આવ્યું. અમને બે કલાક માટે લોકઅપમાં નાખવામાં આવ્યા. અને બાદમાં અમારા પૈકી બે ને બહાર કાઢ્યા અને મારનો ડર બતાવી અમારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવામાં આવ્યું.
આ અંગે પોલીસનો પક્ષ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘટના અંગે ડીસીપી ઝોન ૬નું કહેવું છે કે આ પ્રકારની અરજી અમારી પાસે આવી છે અને તેની તપાસ કરાવવામાં આવશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ