યમુનાની સ્થિતીનો અભ્યાસ કર્યા પછી પેનલે તેમનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે, નદીને બચાવવા માટે ફિલ્મ અને ટીવી કલાકારોની મદદ લેવી પડશે. એનજીટીને આપેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, યમુનામાં ઝેરી તત્વો ઝડપથી વધી રહ્યા છે જેને અટકાવવા માટે હવે દિલ્હી – એનસીઆરમાં પણ ગુજરાતનાં સુરતની જેમ મૂર્તિ વિસર્જન માટેની યોજના બનાવવી જોઈએ.
એનજીટીનાં ચેરમેન જસ્ટિસ એકે ગોયલને આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ અને ટીવી કલાકારોનાં આધારે લોકોને જણાવવામાં આવે કે તેઓ માટીની એવી મૂર્તિઓનો ઉપયોગ કરે જેની પર પેઈન્ટ ન કરેલુ હોય. ટીવી અને રેડિયો પર યોગ્ય રીતે જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવે.
પેનલે દિલ્હી સરકારને સૂચન કર્યુ છે કે કલાકારોનાં આધારે લોકોને જણાવવું જોઈએ કે યમુના ઝડપથી ઝેરી દ્રવ્યોના સંકજામાં આવી રહી છે. યમુનાની સફાઈ અંગે જુલાઈમાં રચાયેલી પેનલમાં દિલ્હીનાં ચીફ સેક્રેટરી રહી ચુકેલા શૈલજા ચંદ્રા અને બીએસ સજાવન સામેલ છે. પેનલે કહ્યું કે સરકારે કુત્રિમ તળાવ તૈયાર કરવા જોઈએ જ્યાં મૂર્તિઓને વિસર્જિત કરી શકાય. આ ઉપરાંત સરકારને સૂચન કરાયુ છે કે, વિસર્જન કરવા માટે લવાયેલી મૂર્તિઓ ૩ ફુટથી લાંબી ન હોવી જોઈએ.
પેનલે કહ્યું કે, ગુજરાતનાં સુરતમાં આવેલી તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે. લોકો પર નજર રાખવા માટે સુરતમાં ચાર હજાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે.
આ ઉપરાંત આઠ હજાર પોલીસ જવાન, ૩૨૫૦ હોમગાર્ડ, સ્ટેટ રિઝર્વ પોલીસ સાથે બીએસએફ અને આરએફએફનાં જવાનો લોકોને નદીમાં મૂર્તિ વિસર્જિત કરતા રોકી રહ્યા છે.
પેનલે સુરતનાં પોલીસ કમિશનર પાસે મૂર્તિ વિસર્જન માટે બનાવેલી યોજનાનો રિપોર્ટ પણ મંગાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તાપીમાં એક પણ મૂર્તિનું વિસર્જન કરાવામાં ન આવે. સ્થાનિક સ્તરે બનાવાયેલા તળાવોમાં મૂર્તિનાં વિર્સજનની પરવાનગી આપવામાં આવી છે. કમિશનરે રિપોર્ટમાં કહ્યું છે કે, આ વર્ષે ૬૦ હજાર મૂર્તિઓ આ તળાવો અને ખાડાઓમાં વિસર્જીત કરવામાં આવી હતી.
આગળની પોસ્ટ