કેન્દ્રમાં આવેલી નરેન્દ્ર મોદી સરકાર આ મહિનાના અંતમાં પોતાના ચાર વર્ષ સત્તામાં પૂર્ણ કરવા જઇ રહી છે. આવી સ્થિતિમાં ચોથી વર્ષગાંઠ પર સરકાર પ્રજાને બતાવવા માંગે છે કે, સરકારે હજુ સુધી કેટલા લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી છે. કોંગ્રેસ સહિત જુદા જુદા વિરોધ પક્ષો આ મુદ્દા ઉપર નિષ્ફળ રહેવાની વાત કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર ચાર વર્ષની અંદર કેટલી નોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે અંગે પણ વાત કરશે. સુત્રોના કહેવા મુજબ તમામ મંત્રાલયો પાસેથી તેમના અને તેમના હેઠળ રહેલા વિભાગો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષરીતે આપવામાં આવેલી નોકરીનો આંકડા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સુત્રોએ એમ પણ કહ્યું છે કે, ચોથી વર્ષગાંઠની યોજના ઉજવવા માટે રચવામાં આવેલી સમિતિ આને ખુબ પ્રાથમિકતા આપી રહી છે.
સુત્રોનું કહેવું છે કે, તમામ મંત્રાલય અને સંબંધિત વિભાગ નિશ્ચિત સમય ગાળાની અંદર પોતાના કામોના સંદર્ભમાં આંકડાઓ રજૂ કરતા રહે છે. આ વખતે તેમને તમામ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં તેમના દ્વારા કેટલી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે અંગે પણ કહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સરકાર ખાસ કરીને સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ઇચ્છુક છે. તમામ સેક્ટરના ડેટા એકત્રિત થઇ ગયા બાદ એક સારો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રોજગારીના મુદ્દા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામાન્યરીતે મોદી સરકાર ઉપર પ્રહારો કરતા રહ્યા છે. કોંગ્રેસનું કહેવું ચે કે, મોદી સરકાર દર વર્ષે બે કરોડ નોકરી આપવાની વાત કરી રહી હતી. તાજેતરમાં જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ચીન ૨૪ કલાકમાં ૫૦૦૦૦ યુવાનોને નોકરી આપે છે. જ્યારે મોદી ૨૪ કલાકમાં ૪૫૦ને રોજગારી આપી શકે છે.