મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રીવામાં જનતા સમક્ષ કંઈક એવી અપીલ કરી કે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. આનંદીબેન પટેલના નિવેદનથી વિવાદ સર્જાયો છે કે તેઓ લોકોને વડાપ્રધાન મોદીનું સમર્થન કરવા માટે કહી રહ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે, ‘મોદી સાહેબનું ધ્યાન રાખજો’. રાજ્યપાલનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલ પાસેથી રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસની મીડિયા ઈન્ચાર્જ શોભા ઓઝાએ કહ્યું, ‘તેઓ એક બંધારણીય હોદ્દા પર બેઠેલા છે અને એવામાં તેઓએ આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. જો તેઓ ભાજપના કાર્યકર્તા તરીકે જ કામ કરવા માંગતા હોય તો તેઓએ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડવી જોઈએ.’ આનંદીબેન પટેલે શનિવારના રોજ રીવા સોલર પ્લાન્ટનો પ્રવાસ કર્યો હતો.
રીવા સોલર પ્લાન્ટ એક સમયમાં દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ હતો. તેઓ વિંધ્ય વિસાતારના બે દિવસીય પ્રવાસ પર છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ગ્રામજનો તેમની સમક્ષ સોલર પાવર પ્લાન્ટમાં નોકરી અપાવવા માટેની અપીલ કરી રહ્યા છે. તેમણે અધિકારીઓને એક યાદી બનાવવા માટે આદેશ આપ્યો છે. આ દરમિયાન કાર્યક્રમમાં જતા પહેલા રાજ્યપાલે ગ્રામીણોને કહ્યું કે, ‘ભવિષ્યમાં પણ તમને આ પ્રકારના વિવિધ અવસર મળશે, પરંતુ તમારે વડાપ્રધાન મોદીનું ધ્યાન રાખવું પડશે.’