લોકસભાની ચૂંટણી નજીક આવતા જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવાના શરૂ કર્યા છે. રવિવારે રોજ ઇસ્ટ દિલ્હીના મુસ્તફાબાદમાં સીવર, નાળા અને રસ્તાઓના નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા કેજરીવાલે પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા મોદી અને અમિત શાહની જોડીને લોકશાહી માટે જોખમ દર્શાવી હિટલર તરીકે ગણાવી છે.
અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે અલગ અલગ વિસ્તારોમાં જઇને વોટ માંગી રહ્યા છે. દિલ્હીમાં મત બેંકનું ગણિત લોકોને સમજાવતા કેજરીવાલે ભાજપ સરકારના ૫ વર્ષ પર પ્રશ્નો ઉભા કર્યા છે. મુસ્તફાબાદમાં નોર્થ ઇસ્ટ દિલ્હીથી લોકસભામાં પ્રભારી દિલીપ પાંડે માટે મત માગતા કેજરીવાલે કહ્યું કે “છેલ્લા પાંચ વર્ષોમાં મોદી અને અમિત શાહની જોડીએ દેશના એટલા ભાગલા કર્યા છે, જેટલા કોઈએ ૭૦ વર્ષમાં નથી કર્યા. મને લાગે છે કે ૨૦૧૯માં મોદી અને અમિત શાહની જોડી જીતશે તો દેશ બચશે નહીં. મોદી અને અમિત શાહ ચૂંટણી બંધ કરી દેશે અને બંધારણ બદલી નાંખશે.કેજરીવાલે આગળ જણાવ્યું કે, જર્મનીમાં ૧૯૩૧માં હિટલર આવ્યા હતા અને હિટલરે આવતાની સાથે જ બંધારણ બદલી દીધુ, ચૂંટણી બંધ કરાવી દીધી હતી. જ્યાં સુધી હિટલર મૃત્યુ ન પામ્યા, તેઓ જર્મનીના પ્રેઝિડન્ટ રહ્યા. મોદી અને અમિત શાહે પણ આ જ યોજના બનાવી રાખી છે. મોદી અને અમિત શાહની જોડીએ દેશમાં ઝેર ફેલાવ્યું છે, હિન્દુ અને મુસ્લિમોને એક બીજા સાથે લડાવ્યા છે.