વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ અંગે પ્રતિક્રિયા કરતા આજે કહ્યું હતં કે, આ બજેટ માત્ર ટ્રેલર છે. હજ ઘણી યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર છે. બજેટ બાદ મોદીએ તેની પ્રશંસા કરી હતી અને સરકારની યોજનાઓથી દેશના દરેક વ્યક્તિના જીવનમાં સુધારો થશે. બજેટથી ૧૨ કરોડથી વધુ ખેડૂતો અને તેમના પરિવાર તથા ત્રણ કરોડથી વધારે પગારદાર કર્મચારીઓને ફાયદો થશે. આ બજેટમાં હાઉસિંગથી લઇને હેલ્થ સુધીના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે. ટેક્સ માફીની પણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ખેડૂતોની પ્રગતિને લઇને કારોબારીઓની પ્રગતિ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગને પ્રોત્સાહન મળશે. બજેટમાં ઇકોનોમિને નવી ગતિથી લઇને ન્યુ ઇન્ડિયાના નિર્માણને લઇને તમામનું ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટ ગરીબો શક્તિ આપશે, ખેડૂતોને મજબૂતી આપશે અને અર્થવ્યવસ્થાને બળ આપશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે બજેટની પ્રશંસા કરી અને કહ્યું કે દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેઓએ કહ્યું, “આ બજેટથી ૧૨ કરોડથી વધુ ખેડૂતો, ૩ કરોડ મધ્યમ વર્ગને અને ૪૦ કરોડ શ્રમિકોને લાભ મળશે તે નક્કી છે.” તો મોદી સરકારના વચગાળાના બજેટ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને અંતિમ જુમલા બજેટ ગણાવ્યું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે અસંગઠિત ક્ષેત્રના મજૂર, લારી ચલાવનાર, ઘરેલુ સહાયકોની ક્યારેક ચિંતા ન કરી અને તેઓને તેમના નસીબ પર છોડી દીધાં. આ સંખ્યા લગભગ ૪૦થી ૪૨ કરોડ છે. તે માટે અમારી સરકાર વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજના લાવી છે. વડાપ્રધાન ખેડૂત યોજનાનો લાભ તે ખેડૂતોને મળશે જેની પાસે પાંચ એકર કે તેનાથી ઓછી જમીન છે. દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. તેનાથી સાબીત થાય છે કે, મોદી સરકાર ગરીબ, ખેડૂત અને યુવાનો માટે સમર્પિત સરકાર છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે કહ્યું- નવા ભારતનું બજેટ એક સંતુલિત બજેટ છે. જે દરેક વર્ગ માટે છે. તે દેશના આર્થિક વિકાસ દરને વધારશે, તેનાથી ખેડૂતો, ગરીબો, મધ્યમ વર્ગ અને યુવકો દરેકને લાભ થશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું – શું કોઈએ કદી એવું વિચાર્યું હશે કે ખેડૂતોને આટલો મોટો ફાયદો આપવામાં આવશે? આ સીક્સર છે અને વિપક્ષ લોકસભા ચૂંટણી સુધી આ બોલ નહીં શોધી શકે. પહેલી સર્જિકલ સ્ટ્રાઈક સીમા પર થઈ હતી. તેમાં જવાનોએ ગોળીઓથી લડાઈ લડી હતી. અહીં મતપત્રોની સાથે લડાઈ લડવામાં આવશે. લોકોએ નક્કી કરવું પડશે કે એનડીએ ૪૦૦ સીટ જીતશે. નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે.