લગભગ એક મહિના પહેલા ઘર છોડીને જતી રહેલી પત્નીને પતિએ તેની જ ઓફિસમાં ઘુસીને અત્યંત બર્બરતાપૂર્ણ રીતે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિથી અલગ રહી રહેલી પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ યુગલે ૧૪ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં.
પતિ-પત્ની ભાયંદરમાં રહેતા હતાં. પત્નીને હત્યાને અંજામ આપ્યા બાદ પતિ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોતાનો ગુનો પણ કબુલી લીધો હતો.
આરોપી કુમાર ભોઈર (૩૭) પત્ની વીણા (૩૨)ની ઓફિસ પર સવારે ૧૦ઃ૩૦ વાગ્યે ધસી ગયો હતો. જ્યાં બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ. આ બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું. ગુસ્સાથી લાલચોળ થયેલા કુમારે પોતાની પાસે રહેલુ ચાકુ કાઢી વીણા પર રીતરસનો તુટી પડ્યો હતો. તેને વીણાને ઉપરાઉપરી ૧૬ ઘા માર્યા હતાં. ગંભીર રીતે ઘાયલ વીણા જમીન પર ફસડાઈ પડી હતી. એક સમયે પ્રેમમાં ગળાડુબ કુમાર આજે વીણાને લોહીમાં તરફડતી મુકીને નાસી છુટ્યો હતો. અને પોલીસ સ્ટેશન પહોંચી ગુનાની કબુલાત કરી લીધી હતી.
આ સમગ્ર ઘટના ઓફિસમાં કામ કરતા કર્મચારીએ જોઈ હતી. તેણે સૌકોઈને જાણ કરી હતી. ઓફિસનો સ્ટાફ વીણાને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અવારનવાર ઝગડા થતા હતાં. આખરે કંટાળીને વીણા ૨ જાન્યુઆરીએ પતિ કુમારનું ઘર છોડીને ચાલી ગઈ હતી. કુમારે પોલીસમાં વીણા ગાયબ થયાની અરજી નોંધાવી હતી, પરંતુ વીણાએ પોલીસ સામે આવીને કહ્યું હતું કે, તેને તેની મરજીથી પતિનું ઘર છોડ્યું છે. તે હવે પતિ સાથે રહેવા નથી માંગતી. બંનેને કોઈ જ સંતાન નથી.