ચીને સૈન્યમાં મોટા ફેરફાર કર્યા છે, ચીનમાં મોટા પ્રમાણમાં જવાનોને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે નવી સ્ટ્રેટેજી મુજબ ચીને સૈન્યના જવાનોમાં કાપ મુકી દીધો છે અને સંખ્યા અડધી કરી નાખી છે. જોકે બીજી તરફ નેવી અને એર ફોર્સની સંખ્યામાં ધરખમ વધારો કરી દીધો છે.
આ જાણકારી હોંગકોંગના મીડિયા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે આપી હતી. સૈન્યમાં માત્ર જવાનો જ નહીં જે ઓફિસર છે તેમાં પણ ૩૦ ટકાનો કાપ મુકી દીધો છે. સાંઘાઇમાં સ્થિત આર્મી નિષ્ણાંત ની લેક્ઝોંગે જણાવ્યું હતું કે ચીને જે નવી સ્ટ્રેટેજી અપવાની છે તેનાથી ન માત્ર ચીન ઉપરાંત અન્ય મિત્ર દેશોને પણ ફાયદો થશે. કેમ કે ચીન હવે નેવી અને એરફોર્સને અન્ય દેશોમાં મદદ માટે મોકલી શકશે.
બીજા વિશ્વયુદ્ધ સમયની ચીન સ્ટ્રેટેજી અપનાવી રહ્યું હતું, જેને હવે બદલી નાખી છે. જુની પદ્ધતીમાં ચીની સૈન્યમાં મોટા પ્રમાણમાં ઓફિસર હતા જ્યારે હવે આખી પદ્ધતી જ બદલીને ઓફિસરોમાં ૩૦ ટકાનો કાપ મુકી દીધો છે. ચીની સૈન્ય પાસે હાલ પાંચ જુદી જુદી બ્રાંચીસ છે જેમાં સૈન્ય, નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સનો સમાવેશ થાય છે. છેલ્લી બે બ્રાંચીસની સ્થાપના ત્રણ વર્ષ પહેલા જ કરવામાં આવી હતી.
ચીની સૈન્ય પાસે ૧૯૪૯ સુધી કોઇ જ નેવી કે એરફોર્સ નહોતી. જ્યારે અન્ય એક રોકેટ ફોર્સનો સમાવેશ પણ ૧૯૬૬માં કરવામાં આવ્યો હતો. ચીન પાસે ૨૦૧૩માં સૈન્યમાં ૨૩ લાખ જવાનો, જ્યારે નેવીમાં માત્ર ૨૩૫,૦૦૦ જ જવાનો અને અધિકારો ઉપરાંત એરફોર્સમાં તેવી જ રીતે ૩,૯૮૦૦૦ જવાનો હતા. જેથી હવે આ ૨૩ લાખમાં કાપ મુકીને તેને અડધી કરી દેવામાં આવી છે જ્યારે એરફોર્સ અને નેવીમાં વધારો કરવામાં આવ્યો છે. આ સ્ટ્રેટેજીથી હવાઇ હુમલા અને સમુદ્રી માર્ગે બચાવ તેમજ હુમલામાં ચીન મજબુત થઇ જશે. જ્યારે તેના મિત્ર દેશોને પણ જ્યારે હવાઇ હુમલાની જરુર પડશે તો તેમાં મદરૂપ થઇ શકે છે.