Aapnu Gujarat
બ્લોગ

ગરીબી, બેકારી, અસમાનતા, શોષણ જેવા મહાદુષણોની જનની આધુનિક ટેકનોલોજી

હિંદ સ્વરાજ પુસ્તકમાં ગાંધીજીએ કહ્યું હતું કે, ’’હું અંગ્રેજોને નથી કાઢવા માગતો પણ અંગ્રેજના સ્વભાવને કાઢવા માગું છું. ’’ ઈ.સ. ૧૯૪૭માં ભારતમાંથી અંગ્રેજો ઉચાળા ભરી ગયા પણ પશ્ચિમપરસ્તીને કારણે આપણે ત્યાં અંગ્રેજોના સ્વભાવની આયાતનો સિલસિલો ચાલુ રહ્યો. અંગ્રેજનો આ સ્વભાવ એટલે શોષણના અને ભૌતિકવાદના પાયા ઉપર ઊભી થયેલી પશ્ચિમી સંસ્કૃતિ. ભારતીય સંસ્કાર એમ કહે છે કે ગાય આપણી માતા છે અને ઘરડી થા તો પણ તેની કતલ ન કરાય, પણ તેને પાંજરાપોળ મોકલી દેવાય. અંગ્રેજનો સ્વભાવ એમ કહે છે કે ગાય એ દૂધ પેદા કરતું યંત્ર છે અને તે દૂધ પેદા કરવાનુ બંધ કરે એટલે તેનાં માંસનો ઉપયોગ કરવા તેની કતલ કરવી જોઈએ. પાંજરાપોળ એ ભારતીય સંસ્કારનું પ્રતિક છે. તો કતલખાનું અંગ્રેજના સ્વભાવનો દેશી અંગ્રેજોએ ટકાવી રાખેલો વારસો છે.પશ્ચિમી સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ વચ્ચે એક પાયાનો તફાવત છે. તેઓ માણસ અને વસ્તુઓ વચ્ચેના સંબંધને મહત્ત્વનો ગણે છે, પણ આપણે ત્યાં માણસ-માણસ વચ્ચેના સંબંધોના અને સમગ્ર જીવસૃષ્ટિ સાથેના આત્મીયભાવનો મહિમા છે. વુલ્ફાંગ ઝેક્સ નામના જર્મનીના ફિલસૂફ આધુનિક ટેક્નોલોજીએ ઊભી કરેલી ભ્રમજાળની આરપાર ખૂબ તીક્ષ્ણતાથી જોઈ શકે છે. તેમના મતે આધુનિક જમાનાના બધાં વિચારો અને અરમાનો આજે મુખ્યત્વે મિલકત, ઉત્પાદન અને વિતરણની આસપાસ જે ફેરફુદરડી ફરતાં થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેણે માણસ વચ્ચેના સંબંધોનો મહિમા ઘટી જવાનું કારણ પશ્ચિમ ટેક્નોલોજીનું આક્રમણ છે અને તેમાંથી જ ગરીબી, બેકારી, અસમતુલા, શોષણ, અપોષણ, ભૂખમરો વગેરે મહાદૂષણો આજે માનવજાતનાં કેન્સરમાં રોગચાળાની જેમ વ્યાપી ગયાં છે.આપણા બૌદ્ધિકોમાં એક બહુ મોટો ભ્રમ પેદા થયો છે કે ટેક્નોલોજી દ્વારા તમારી શક્તિ ખૂબ વધી જાય છે, પણ તે પોતે નિર્દોષ છે. તેના દ્વારા લોકોનું ભલું કરવું કે બુરું કરવું એ તમારા હાથની વાત છે. આ ભ્રમનો ભુક્કો બોલાવતાં વુલ્ફાંગ ઝેક્સ કહે છે કે આધુનિક ટેક્નોલોજી એકલી નથી આવતી. પણ પોતાની સાથે સભ્યતાનું આખું માળખું લઈને આવે છે. ટ્રોજાનહોર્સની જેમ આ તમારા કિલ્લામાં ઘૂસી જાય છે અને કિલ્લાનો અંદરથી કબજો લઈ લે છે. ત્રીજા વિશ્વના બધા દેશો માટે આવી રીતે આધુનિક ટેક્નોલોજી તેમના સમાજમાં અંદર પેસી જઈને અંદરથી કબજો જમાવવાનું માધ્યમ બની છે એમ વુલ્ફાંગ કહે છે. આધુનિક ટેક્નોલોજીએ આપણા બધાના માનસનું એવું વશીકરણ કરી લીધું છે કે તેની કાળી બાજુનો આપણને ખ્યાલ નથી આવતો. પશ્ચિમના જે દેશોમાં આ ટેક્નોલોજીનો જન્મ થયો છે. ત્યાં હવે આ દિશામા મનોમંથન ચાલી રહ્યું છે, પણ આપણે તો ટેક્નોલોજીનો આંધળો સ્વીકાર કરવામાં જ શાણપણ સમજીએ છીએ.ટેક્નોલોજી આપણને રોજબરોજના વહેવાર માટે જે ઉપકરણોની ભેટ આપે છે તે ચમત્કારિક અને નિર્દોષ જણાય છે. ઈલેક્ટ્રિક મિક્સરનો જ દાખલો લઈએ. સ્વિચ દબાવીને ઘરઘરાટી બોલાવતું આ યંત્ર પાંચ મિનિટમાં તમને ફળનો રસ કાઢી આપે છે કે સરસ મજાની ચટણી વાટી આપે છે. અડધો કલાકની ભારે જહેમત માંગી લેતું કામ તમે સ્વિચ દબાવતાં પાંચ જ મિનિટમાં આટોપી શકો છો.
તમને થશે, આટલું અમથુ ંમિક્સર વાપરવામાં શો દોષ? પણ મિક્સરનો વાયર જુઓ અને સોકેટમાં ભરાયેલો પ્લગ જુઓ એટલેર મિક્સરની પાછળ પડેલા રાક્ષસી તંત્રનો તમને ખ્યાલ આવશો. આ તંત્રના સહકાર વિના મિક્સરનો ચમત્કાર શક્ય નથી બનતો.મિક્સર ચલાવવા માટે માઈલોનાં માઈલો પથરાયેલાં લોખંડના દોરડાં જોઈએ. વિદ્યુત મથકો જોઈએ, ત્યાં ટર્બાઈન ચલાવવા જળપ્રપાતો જોઈએ અથવા વરાળ પેદા કરવા ટનબંધ કોલસો બાળવો પડે, જળઉર્જા માટે વિરાટ બંધો બાંધવા પડે, તેમાં લાખો લોકો ઘરબારવિહોણા થાય, જંગલો ડૂબમાં જાય, ખેતીની ફળદ્રુપ જમીન ડૂબી જાય અને ટર્બાઈન ચલાવવામાં લાખો જળચરોની કલત થાય. વળી, વિદ્યુતમથકો ચલાવવા ઈજનેરો, આયોજનકારો, નાણાકીય નિષ્ણાતો વગેરેની મોટી ફોજ જોઈએ. આવી ફોજ ઊભી કરવા યુનિવર્સિટીની જરૃર પડે. વિદ્યુતમથકને કોલસો પૂરો પાડવા ઓદ્યોગિક માળખું જોઈએ અને વહીવટીતંત્ર જોઈએ. આ બધાની જાળવણી માટે કદાચ લશ્કર પણ જોઈએ.એક નાનકડું મિક્ષર ચલાવવું હોય તો ઉપરની સમગ્ર સિસ્ટમને પ્રોત્સાહન આપવું પડે અને તે દરેકમાં વિવિધ તબક્કે જે હિંસા થાય તેને ક્ષંતવ્ય ગણવી જોઈએ. અમુક જૈનસાધુઓ એવી ચર્ચા કરે છે કે વીજળીમાં જીવ નથી માટે તેનો વપરાશ કરી શકાય પણ તેઓ તેના ઉત્પાદન પાછળની હિંસા ભૂલી જાય છે. મિક્ષરને બદલે જો આપણે ચટણી વાટવાનો પથ્થર વાપરીએ તો ઉપરના સમગ્ર તંત્રનો છેદ ઊડી જાય છે. આપણને જરૃર માત્ર ખાણિયાની અને પથ્થરને ઘડતા કારીગરની રહે છે.
આધુનિક ટેક્નોલોજી વાપરવી અને સામાન્ય હથિયાર વાપરવું તે બે વચ્ચે આવો પાયાનો ફરક છે.વુલ્ફાંગ ઝેક્સ કહે છે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર માણસ એક મસમોટા તંત્ર સાથે પોતાની જાતને જોડે છે. આ તંત્ર માણસના સમાજનું સ્વરૃપ નક્કી કરે છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી એટલે આપણા આખાય સમાજની નવરચના કરવી. આધુનિક ટેક્નોલોજી ભલે ઉપર ઉપરથી નિર્દોષ અને નિરુપદ્રવી લાગતી હોય, તે તમારા આખાય જીવનને સ્પર્શે છે. જીવનને તે નવો ઘાટ આપે છે. તે આપણને પોતાના ઢાંચામાં ઢાળતી જાય છે. માણસ તે વાપરતો નથી, ટેક્નોલોજી માણસને વાપરતી થઈ જાય છે, માણસ તેના હાથની કઠપૂતળી બની જાય છે. ટેક્નોલોજી માણસનું માનસ ઘડે છે, તેનો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે છે. એ તમારી ઊર્મિઓ અને લાગણીઓનેય પોતાનો સાંસ્કૃતિક ઓપ આપે છે. એ માત્ર ઓજાર નથી, જીવનદ્રષ્ટિ છે. માણસના માનસ ઉપર એ એવી ઘીસીઓ પાડે છે, જેને ભૂંસવી અઘરી છે. ટેક્નોલોજીની તાત્કાલિક ઝાકઝમાળ માણસને આંજી નાખે છે, પરંતુ સમાજને ખબર નથી પડતી કે તેની કેટલીક ભારે કિંમત ચૂકવવી પડે છે.બીજું ઉદાહરણ જોઈએ. આજે જીવનના દરેક વ્યવહારોમાં છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે.
બજારમાં તમે દાતણ લેવા જાઓ તો પણ તમને કેરિયર બેગમાં દાતણ આપે છે. ઉપર છલ્લે નિર્દોષ અને સુવિધાજનક જણાતું પ્લાસ્ટિક પરંપરાએ કેટલું ભયંકર છે, તેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવે છે. પ્લાસ્ટિક પેટ્રોલિયમની પેદાશ છે. પેટ્રોલિયમ પેદા કરવા દરિયામાં શારકામ કરવું પડે છે, લાખો દરિયાઈ જીવો નાશ પામે છે. તે માટે પૃથ્વીનાં પેટાળ ચીરવાં પડે છે, વિદેશી નિષ્ણાતોની ફોજ રાખવી પડે છે.
જેટલા જેટલા ખાદ્ય પદાર્થોનો સંગ્રહ પ્લાસ્ટિકના વાસણમાં કે થેલીમાં કરવામાં આવે છે, તેમાં પ્લાસ્ટિકનું ઝેર ભરે છે અને તે પેટમાં જાય છે.એક મોટરકારનો જ દાખલો જોઈએ. વાહનચાલક પોતાનો પગ એક્સેલેટર ઉપર મૂકે એટલે ગાડી સડસડાટ ચાલવા માંડે છે. આટલી સહેલાઈથી આટલો ઝડપી પ્રવાસ કરવાની જે ચમત્કારિક તાકાત તમારામાં આવે છે, તેનાથી તમે રોમાંચિત થઈ ઊઠો છો, પરંતુ આ મોટરકાર ચાલી શકે તે માટે જે રસ્તાઓ, પાર્કિંગ માટેની સગવડ, ફેક્ટરીઓ, ગેરેજો, મિકેનિકો, એન્જિનિયરો, એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, બેન્ક ફાઈનાન્સ, બેન્ક ફાઈનાન્સ, હૂંડિયામણ, વીજળી અને જમીન વગેરેની જરૃર પડે છે તે આપણી નજરમાં નથી આવતાં. વળી મોટરકારના સડસડાટ ચાલવાને કારણે ધ્વનિપ્રદૂષણ, વાયુપ્રદૂષણ અને પૃથ્વીનું વધતું તાપમાન વગેરેનો આપણને ઝટ ખ્યાલ નથી આવતો.મોટરકાર ચલાવવા પેટ્રોલ જોઈએ અને અખાતી દેશોમાંથી પેટ્રોલની આયાત કરવા માટે આપણા દેશમાં કતલખાનાં ચલાવવાં પડે છે અને આપણા પશુધનને કાપીને તેની નિકાસ કરવી પડે છે, તેનો પણ આપણને ખ્યાલ નથી આવતો. મોટરકારને બદલે જો ઘોડાગાડી અથવા બળદગાડું વાપરીએ તો ઉપરનાં તમામ દૂષણોથી દૂર રહી શકાય છે, પરંતુ આપણે મોટરકારને આધુનિકતાની નિશાની માનીએ છીએ. ઘોડાગાડીને આપણે પછાત ગણીએ છીએ.આધુનિક ટેક્નોલોજીમાં આપણને ભગવાન દેખાય છે અને તેની પાછળ આપણે ઘેલા બન્યા છીએ, તેમાં આપણી સાંસ્કૃતિક અસ્મિતાનો ભોગ લેવાઈ જાય છે.

Related posts

ભાજપ માટે આગામી ચુંટણીની રાહ આસાન થઇ

aapnugujarat

ગુજરાતમાં ૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર

aapnugujarat

રાજસ્થાન કોંગ્રેસને જૂથબંધી નડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1