ચાલુ વાહનમાં ડ્રાઇવરને હૃદયરોગનો હુમલો આવે તો શું થાય? કદાચ મોટો અકસ્માત જ થઈ જાય. ગુજરાત એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવી ગયાના સમાચાર સામે આવ્યા છે. જોકે, સદનસિબે આ કેસમાં કંડક્ટર સહિત ૨૨ મુસાફરોનો બચાવ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હૃદયરોગના હુમલાને કારણે ડ્રાઇવરનું મોત થયું છે.મળતી માહિતી પ્રમાણે ડાકોર પાસે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આ બસમાં ૨૧ જેટલા મુસાફરો સવાર હતા.
ખેડાના ડાકોર નજીક ડ્રાઇવરને હુમલો આવ્યો હતો. જોકે, કદાચ ડ્રાઇવરને હૃદયરોગના હુમલા અંગેનો પહેલાથી જ અંદાજ આવી ગયો હોવાથી તેમણે બસને સલામત ઉભી રાખી દીધી હતી.આ રીતે ડ્રાઇવરની સતર્કતાને કારણે ૨૨ લોકોના જીવ બચી ગયા હતા.
જોકે, દુઃખની વાત એ છે કે હૃદયરોગના હુમલાને કારણે ડ્રાઇવરનું બસના સ્ટિયરિંગ પર જ મોત થઈ ગયું હતું. આ અંગે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ અંગે ડાકોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મુસાફરોને બીજી બસ મારફતે ગોધરા મોકલવામાં આવ્યા હતા. આ બસ નડિયાદથી-ગોધરા શહેરમાં જઈ રહી હતી.