Aapnu Gujarat
બ્લોગ

પ્રાણાયામ અંગે વૈજ્ઞાનિક સંશોધન

એક એવી ભ્રામક માન્યતા છે કે પ્રાણાયામ દરમિયાન શરીરને વધુ ઑક્સિજન મળે છે. ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રથમ ભાગ સિવાય કોઇ પ્રાણાયામમાં આમ બનતું નથી. પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે પ્રાણાયામ દરમિયાન અભ્યાસી સામાન્ય શ્વાસોચ્છ્‌વાસ કરતાં પણ ઓછો ઑક્સિજન લે છે. કેમ કે દર મિનિટે સામાન્ય શ્વાસોચ્છ્‌વાસના આવર્તનો કરતાં પ્રાણાયામના આવર્તનો ઘણાં ઓછા થાય છે.
પરંતુ પ્રાણાયામ દ્વારા શ્વસનતંત્રને અને સમગ્ર શરીરને જે ફાયદો થાય છે તે બીજી રીતે થાય છે. પ્રાણાયામ, અભ્યાસીના શ્વસનતંત્રને એવી રીતે તૈયાર કરે છે કે પ્રાણાયામના અભ્યાસકાળ પછી આખા દિવસ દરમિયાન અભ્યાસી સામાન્ય કરતાં વધુ ઑક્સિજન લઇ શકે છે. શ્વસનતંત્રની કાર્યક્ષમતા કાયમી ધોરણે વધી જાય છે અને એ બહુ મહત્ત્વની વાત છે. શ્વસનતંત્રની આ કેળવણી નીચેની રીતે બને છે.
રેચક અને પૂરક દરમિયાન ફેફસાંને સામાન્ય શ્વાસોચ્છ્‌વાસ કરતાં વધુ સારો મસાજ મળે છે. તેથી તેમની કાર્યક્ષમતા વધે છે. વળી શ્વાસોચ્છ્‌વાસની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઉદર પટલ અને છાતીના સ્નાયુઓ પણ લાંબા અને ઊંડા રેચક પૂરકના અભ્યાસથી વધુ કાર્યક્ષમ બને છે. જેનાથી શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં કાયમી ધોરણે વધારો થાય છે.
પ્રાણાયામના અભ્યાસથી અભ્યાસીને ઊંડા શ્વાસોચ્છ્‌વાસની કાયમી ટેવ પડે છે. જે અભ્યાસકાળ સિવાય આખા દિવસ દરમિયાન ચાલુ રહે છે.
ઊંડા પૂરક અને કુંભકના અભ્યાસથી ફેફસાંમાં રહેલા બંધ વાયુકોશો ખૂલે છે અને એકવાર ખૂલેલા આ વાયુકોશના અભ્યાસના સાતત્યથી કાયમી ધોરણે ખૂલેલા જ રહે છે. પરિણામે ફેફસાંની વાયુધારણ કરવાની શક્તિ વધે છે. ઊંડા રેચકથી ફેફસાં, સામાન્ય ઉચ્છ્‌વાસ કરતાં વધુ ખાલી થાય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડથી દૂષિત થયેલો વાયુ વધુ પ્રમાણમાં બહાર કાઢી શકાય છે. પરિણામે વધુ તાજી હવા લઇ શકાય છે.
૨. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન હૃદયને સામાન્ય શ્વાસોચ્છ્‌વાસ કરતાં વધુ સારી રીતે મસાજ મળે છે. પરિણામે હૃદયની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ભસ્ત્રિકા જેવા પ્રાણાયામના અભ્યાસથી શરીરના છેક દૂર દૂરના કોશો સુધી પર્યાપ્ત પ્રમાણમાં લોહી પહોંચે છે. વળી ધમનીઓ અને રક્તવાહિનીઓને પર્યાપ્ત શોધન, મસાજ અને વ્યાયામ મળી રહેતાં તેમની કાર્યક્ષમતા વધે છે.
૩. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્વાસોચ્છ્‌વાસની ગતિ મંદ પડે છે. પરંતુ એથી ઊલટું મગજના રુધિરાભિસરણની ગતિ વધે છે. કેમ કે એમ નોંધાયું છે કે કાર્બન ડાયોક્સાઇડના સંચયથી મગજના રુધિરાભિસરણમાં વધારો થાય છે. આમ થતાં પ્રાણાયામના અભ્યાસથી મગજની અને પરિણામે જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
૪. શ્વસનતંત્ર, રુધિરાભિસરણ અને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધતાં એ ત્રણેની અસરથી અંતઃસ્ત્રાવી તંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં અચૂક સુધારો થાય છે.
૫. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન થતાં આંતરિક દબાણ પરિવર્તનથી હોજરી, આંતરડા, કાળજું, પેનક્રિયાસ, મૂત્રપિંડ વગેરે અવયવોને સારો મસાજ મળે છે. વળી પેટના સ્નાયુઓને સામાન્ય શ્વાસોચ્છ્‌વાસના પ્રમાણમાં ઘણો સારો વ્યાયામ મળે છે. આ બધાને પરિણામે ઉત્સર્ગતંત્ર અને પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
આપણે ઉપર જોયું તેમ પ્રાણાયામના અભ્યાસથી શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંત્ર, અંતઃસ્ત્રાવીતંત્ર, પાચનતંત્ર, ઉત્સર્ગતંત્ર અને કંઇક અંશે સ્નાયુતંત્રની કાર્યક્ષમતા અને સ્વાસ્થ્યમાં વધુ ઊંડો અને વધુ સ્થાયી સુધારો થાય છે.
પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્યમાં પ્રાણાયામથી અપ્રતિમ સુધારો થાય છે. સ્વામી શ્રીમત્કુવલયાનંદજીએ ઉચિત રીતે કહ્યું છેઃશરીર સ્વાસ્થ્યની બાબતમાં પણ કોઇપણ શારીરિક શિક્ષણની પદ્ધતિ પ્રાણાયામના સોમા ભાગની પણ કાર્યક્ષમતા ધરાવતી નથી.
આ બધું છતાં આપણે અહીં ફરીથી એ વાતને યાદ કરી લઇએ કે પ્રાણાયામનો ઉદ્દેશ શારીરિક સ્વાસ્થ્ય નહીં પણ આધ્યાત્મિક વિકાસ છે. શારીરિક સ્વાસ્થ્ય તો પ્રાણાયામના અભ્યાસની આડપેદાશ છે. પ્રાણાયામ દરમિયાન થતાં આંતરિક ફેરફારોને આધુનિક વૈજ્ઞાનિક સાધનો દ્વારા ચકાસવાનું કામ ઘણું મુશ્કેલ છે. વળી આ વિષય અંગે બહુ વૈજ્ઞાનિક સંશોધન થયું પણ નથી. એટલું જ નહીં એ પણ સમજી લેવું જોઇએ કે આધ્યાત્મિકક્ષેત્રની ઘટનાઓ અંગે વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય ખૂબ જ મર્યાદિત કક્ષામાં જ રહેવાનું. આમ છતાં જે કાંઇ સંશોધન થયું છે તે અહીં પ્રસ્તુત છે.
રેચક પૂરકમાં શ્વાસોચ્છ્‌વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઇડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે.
મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતા મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે. કાર્બન ડાયોક્સાઇડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કામ કરે છે. તેનાથી માનસિક શાંતિ માટેની અનુકૂળ પરિસ્થિતિ તૈયાર થાય છે. શરીરને મળતાં ઑક્સિજનનું પ્રમાણ પ્રાણાયામમાં ઘટે છે, પરંતુ આ ઘટાડો એટલો ધીમો ધીમો થાય છે કે શરીર આ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એટલે જો પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કરવામાં આવે તો શરીરમાં ઓછા ઑક્સિજનથી કામ ચલાવવાની અને પ્રાપ્ત ઑક્સિજનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એક વિશેષ શક્તિ પેદા થાય છે અને આ બહુ મહત્ત્વનો, મૂલ્યવાન અને મૂલગામી ફેરફાર છે.
અહીં એ નોંધવું ઉપયોગી થશે કે અંતરંગયોગના અભ્યાસ દરમિયાન શ્વાસોચ્છ્‌વાસનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે ક્વચિત્‌ બંધ પણ પડી જાય છે. જો પ્રાણાયામના અભ્યાસથી સાધકનું શરીર ઉપરોક્ત રીતે તૈયાર ન થયું હોય તો તેના પર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે.

Related posts

કોર્પોરેટ જગતમાં ડિપ્રેશનના પ્રમાણમાં મોટો ઉછાળો

aapnugujarat

પ્રેમ જોઇએ તો પ્રેમ આપો

editor

क्या अमेरिका चीन से युद्ध के लिए भारत को जरीया बनाना चाहता है….?

editor

Leave a Comment

UA-96247877-1