ભારતીય કર્મચારીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. ટેક સ્ટાર્ટ-અપ ‘હશ’ના સરવે પ્રમાણે દર પાંચે એક કર્મચારી કામકાજના સ્થળે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છે. ફોર્ટિસ હેલ્થકેરમાં કામકાજની વયમર્યાદામાં આવતા કુલ દર્દીઓમાંથી ૪૦ ટકાએ કામ સંબંધી ચિંતા અને ડિપ્રેશનની ફરિયાદ કરી છે.
કોર્પોરેટ સેક્ટરના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેનું કારણ કર્મચારીના વર્કપ્લેસ અને વ્યક્તિગત સર્કલમાં સપોર્ટ સિસ્ટમનો અભાવ છે.તાજેતરમાં ‘ડિપ્રેશન ટેસ્ટ’ કરનારા ૯,૬૨૨ લોકોમાં ડિપ્રેશનના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો હતો.કર્મચારીઓમાં ડિપ્રેશનનું કારણ કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલનના અભાવથી માંડી વચન આપ્યા મુજબની જોબ અને જોબની વાસ્તવિક ભૂમિકા વચ્ચેનો તફાવત કહી શકાય. ઉપરાંત, વર્કપ્લેસની સમસ્યાઓને પહોંચી વળવા માટે સપોર્ટ સિસ્ટમના અભાવને કારણે કર્મચારીઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય કોર્પોરેટ જગતના કર્મચારીઓના કામકાજ સંબંધી ડિપ્રેશન અને ચિંતાને લગતા કેસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.યુવા પ્રોફેશનલ્સમાં અનિયમિત ઊંઘ, માથાનો દુખાવો, છાતીનો દુખાવો, થાક સહિતની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે.સતત સ્ટ્રેસના કારણે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું પ્રમાણ ઘણું વધી જાય છે. આવી વ્યક્તિને લાંબા ગાળે ડિપ્રેશન અને ચિંતાનું જોખમ રહે છે. સરવેમાં ભાગ લેનારા લગભગ ૫૦ ટકા લોકો ડિપ્રેશનથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું.સરવેમાં મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ સેક્ટર અને સ્ટાર્ટ-અપ્સને આવરી લેવાયા હતા.
સરવેના તારણ મુજબ ૨૨ ટકા લોકોના મતે વધુ પડતા કામ અને સ્ટ્રેસના કારણે તેમની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે. સરવેમાં ભાગ લેનારા દર ચારમાંથી એક કર્મચારીએ ઓછા પગારને સ્ટ્રેસનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. જ્યારે ૨૦ ટકાના જણાવ્યા અનુસાર વર્કપ્લેસમાં રાજકારણ અને સ્પર્ધાનું દબાણ પણ તણાવ માટે સમાન હદે જવાબદાર હતા.