ભારતમાં ચાલુ વર્ષે અનિયમિત વરસાદ, શિયાળામાં ઓછી ઠંડી અને જમીન ઉપર ભેજના પ્રમાણમાં ઘટાડાના કારણે વર્ષ ૨૦૧૮-૧૯ની સીઝનમાં ઘઉંનું ઉત્પાદન આઠ ટકા ઘટી ૯.૧ કરોડથી ૯.૨ કરોડ ટન થાય તેવી બજારની ધારણા છે. ગત વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦ કરોડ ટનના વિક્રમી સ્તરે રહ્યું હતું. સરકાર આ વર્ષે પણ ૧૦ કરોડ ટનનું ઉત્પાદન થશે એવો અંદાજ મુકે છે. દેશમાં ઘઉંનું વાવેતર ૧.૯૪ કરોડ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષ કરતા થોડું વધારે છે પણ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા મુખ્ય કેન્દ્રોમાં વાવેતરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહારમાં વાવેતરમાં ઘટાડો થયો છે.
બિહારમાં વાવેતર ૭.૩૫ લાખ હેક્ટર થયું છે જે ૩૦% ઓછું છે, ગુજરાતમાં વાવેતર ૪૬% ઘટી ૩.૬૩ લાખ હેક્ટર અને મહારાષ્ટ્રમાં તે ૪૫% ઘટ્યું છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદ ૨૮%, બિહારમાં ૨૫% અને મહરાષ્ટ્રમાં આઠ ટકા ઓછો રહ્યો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં ટેકાનો ભાવ વધારે આપવાની રાજ્ય સરકાર જાહેરાત કરી હોવાથી વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. જોકે, પરંપરાગત રાજ્યોમાં થોડું વધારે કે સામાન્ય વાવેતર હોવા છતાં કુલ ઉત્પાદન વધે એવી શક્યતા જણાતી નથી.
ચોમાસામાં ઓછા વરસાદના કારણે જમીન સુકી છે, અલ નીનોની અસરના કારણે ઠંડી સામાન્ય કરતા ઓછી છે અને જમીનમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાથી કુલ ઉપજ (હેક્ટર દીઠ ઉત્પાદન) ઘટશે. બીજી તરફ વિશ્વમાં પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની ધારણા છે. અમેરિકન કૃષિ વિભાગના અંદાજ અનુસાર કુલ વૈશ્વિક ઉત્પાદન ૭૬ કરોડ ટનથી ઘટી ૭૩ કરોડ ટન રહે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં ઘઉંના ભાવ ગત વર્ષની સરખામણીએ ભારતમાં ઊંચા રહે તેવી શક્યતા છે.