ભેળસેળના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા અને કોર્ટરૂમમાંથી નાસી છૂટેલા આરોપી વેપારી તારાચંદ જગ્ગાજીકુમાર પ્રજાપતિને પોલીસે આજે પકડી લીધો હતો અને તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતેના પ્રાંગણમાં આવેલી કોર્ટ નંબર-૮માં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીની વર્તણૂંકની તીખી આલોચના કરી ભરચક કોર્ટમાં ઝાટકણી કાઢી હતી. બાદમાં કોર્ટે આરોપી વેપારી તારાચંદ પ્રજાપતિને સાબરમતી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. કોર્ટના હુકમને પગલે આરોપી વેપારીને જેલહવાલે કરાયો હતો. ભેળસેળના કેસમાં ચાલુ કોર્ટમાંથી ભાગી જનાર આરોપી વેપારી તારાચંદ પ્રજાપતિને ૨૪ કલાકમાં પકડીને હાજર કરવા કોર્ટે ખુદ પોલીસ કમિશનરને હુકમ કર્યો હતો પરંતુ તેમ છતાં તે મુદત પૂરી થઇ ગઇ હોવાછતાં પોલીસ આરોપીને હાજર કરી નહી શકતાં કોર્ટે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી. જેને પગલે પોલીસે આરોપી વેપારી તારાચંદ પ્રજાપતિને પકડી પાડવાના આકરા પ્રયાસોસ આદર્યા હતા.
પોલીસે તેના પુત્રને જ પકડીને બેસાડી દીધો હતો અને આરોપીને તેની જાણ કરાતાં આરોપી વેપારી ભાંગી પડયો હતો અને છેવટે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.
નિકોલ પોલીસે આરોપી વેપારી તારાચંદ પ્રજાપતિને પકડીને કોર્ટ નંબર-૮ સમક્ષ રજૂ કર્યો હતો. અમ્યુકોના એડવોકેટ મનોજ ખંધારે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીની વર્તણૂંકની ગંભીર નોંધ લઇ આરોપીને જેલહવાલે કરી દેવો જોઇએ. હજુ તેની સામેનો ટ્રાયલ ચાલી રહ્યો છે અને ટ્રાયલમાં પણ તે હાજર રહેતો નથી. ઉલ્ટાનું ચાલુ કોર્ટમાંથી આરોપી બિન્દાસ્ત રીતે ભાગી ગયો તે ગુનાહિત કૃત્ય અદાલતી અવમાનનો સીધો અને ગંભીર કેસ બને છે. કોર્ટે અમ્યુકોના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વેપારી તારાચંદ પ્રજાપતિને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.
પાછલી પોસ્ટ