આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડમાં પકડાયેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના તત્કાલીન જોઇન્ટ ડિરેકટર જે.પી.સિંહની જામીનઅરજી આજે અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપી ઉચ્ચ અધિકારીના ગુનાની ગંભીરતા અને તેમની વિરૂધ્ધના પ્રથમદર્શનીય કેસને ધ્યાનમાં લઇ આરોપી જે.પી.સિંહને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસના ૨૦૦૦ વર્ષની બેચના અધિકારી એવા જે.પી.સિંહ વિરૂધ્ધ આ કૌભાંડના મુખ્ય આરોપીઓ પાસેથી લાંચ સ્વીકારવાનો અને તેઓને મદદગારી કરવાનો આરોપ હતો. જેના અનુસંધાનમાં સીબીઆઇએ ફેબ્રુઆરી-૨૦૧૭માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના તત્કાલીન જોઇન્ટ ડાયરેકટર જે.પી.સિંહની ધરપકડ કરી હતી અને તેઓની વિરૂધ્ધ સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર-૨૦૧૫માં આઇપીએલ ક્રિકેટના હજારો કરોડના સટ્ટાકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સીબીઆઇએ મુંબઇ, અમદાવાદ સહિતના જે.પી.સિંહના સ્થાનો પર તપાસ કરી કેટલાક મહત્વના અને મજબૂત પુરાવા પ્રાપ્ત થતાં તેમની વિરૂધ્ધ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. ઇડી દ્વારા આઇપીએલ ક્રિકેટના રૂ.૨૦૦૦ કરોડના સટ્ટાકાંડ અને રૂ.૫૦૦૦ કરોડના અફરોઝ ફટ્ટાના હવાલા કૌભાંડમાં તપાસ ચલાવાઇ હતી, જેમાં આરોપી ઉચ્ચ અધિકારી જે.પી.સિંહની સંડોવણી બહાર આવી હતી. આ કૌભાંડના કેટલાક આરોપીઓને મદદગારી કરવા તેમણે તેઓની પાસેથી મસમોટી લાંચ સ્વીકારી હોવાના પુરાવાના આધારે આખરે જે.પી.સિંહને પણ સાણસામાં લેવાયા હતા. ચકચારભર્યા આ કૌભાંડમાં સીબીઆઇએ જે.પી.સિંહ ઉપરાંત એડિશનલ ડિરેકટર સંજયકુમાર, બુકી બિમલ અગ્રવાલ, ચંદ્રેશ પટેલ, સોનુ જાલન, જે.કે.આરોરા, ધ્રુવકુમાર સિંહ, જયેશ ઠક્કર, પરેશ પટેલ અને સુરેશ મંડી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ થયેલું છે.
આગળની પોસ્ટ