એમેઝોનડોટકોમ ઇન્વેસ્ટમેન્ટ આર્મ મારફતે ઇન્ડિયાની ફ્યુચર રિટેલ લિમિટેડમાં સાતથી આઠ ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારીમાં છે. આજે આ અંગેના અહેવાલ આપ્યા બાદ કોર્પોરેટ જગતમાં આની ચર્ચા રહી હતી. ૨૫ અબજ રૂપિયાની કિંમતમાં આ ખરીદી કરવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ આ સોદાબાજી રોકડમાં થાય તેવી શક્યતા છે. આગામી બે સપ્તાહમાં કેશ એન્ડ સ્ટોક બિલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વર્ષની શરૂઆતમાં એમેઝોને ફ્યુચર રિટેલમાં ૧૦ ટકા હિસ્સેદારી ખરીદવા માટે વાતચીત શરૂ કરી હતી. ગુગલ અને અલીબાબાનો ટેકો ધરાવતા પેટીએમનો સામનો કરવા માટે ફ્યુચર રિટેલમાં હિસ્સેદારી ખરીદવાની તૈયારી એમેઝોન દ્વારા દર્શાવવામાં આવી હતી. જો કે, ફ્યુચર રિટેલે એ વખતે અહેવાલોને રદિયો આપ્યો હતો. તાજેતરના વર્ષોમાં વોલમાર્ટના ફ્લિપકાર્ટ સાથે સ્પર્ધાના પરિણામ સ્વરુપે ઉભરી રહેલા બજારો પૈકીના એકમાં એમેઝોન દ્વારા ઘણી બધી અધિગ્રહણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનામાં જ એમેઝોને ઇક્વિટી કંપની સમારા કેપિટલને ખરીદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ૪૨ અબજ રૂપિયાની કિંમતમાં એન્ટરપ્રાઇઝ વેલ્યુ માટે આદિત્ય બિરલા ગ્રુપની મોર રિટેલ ચેઇનને ખરીદી લીધી હતી. એમેઝોન આવનાર દિવસોમાં વધુ ઝડપથી રિટેલ માર્કેટમાં તેની મજબૂતી સ્થાપિત કરવા માટે ઇચ્છુક છે. ફ્યુચર રિટેલ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ કોર્પોરેટ જગતમાં આને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. બે સપ્તાહમાં હવે સોદાબાજી થશે.
આગળની પોસ્ટ